પંચમહાલ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનું પાલન થાય,ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા તમામ મતદારોને અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

૧૮ પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કુલ ૧૮ લાખ ૮૯ હજાર ૯૪૫ મતદારો, ૯ લાખ ૬૩ હજાર ૫૩૫ પુરુષ અને ૯ લાખ ૨૬ હજાર ૩૮૦ સ્ત્રી મતદારો

૨૧૦૯ મતદાન મથકો,૧૪૮૮ સેવા મતદારો,૩૦ થર્ડ જેન્ડર મતદાર,૧૩,૫૮૮ દિવ્યાંગ મતદારો,૮૫+ ઉંમરના ૧૫,૦૩૨ મતદારો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ની જાહેરાત થઈ છે ત્યારે
આજરોજ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં જિલ્લાના પ્રેસ મીડિયાના પ્રતિનિધિશ્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ૧૮ પંચમહાલ સંસદીય મતવિસ્તાર અને આદર્શ આચાર સંહિતા અંતર્ગત માહિતી આપતા જણાવ્યું હતું કે, ૦૫ જાન્યુઆરી ૨૦૨૪ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ જિલ્લામાં કુલ ૧૮ લાખ ૮૯ હજાર ૯૪૫ મતદારો છે.જેમાં ૯ લાખ ૬૩ હજાર ૫૩૫ પુરુષ મતદારો તથા ૯ લાખ ૨૬ હજાર ૩૮૦ સ્ત્રી મતદારો નોંધાયા છે.આ સાથે ૧૪૮૮ સેવા મતદારો,૩૦ થર્ડ જેન્ડર મતદાર,૧૩,૫૮૮ દિવ્યાંગ મતદારો,૧૫,૦૩૨ મતદારો એવા છે કે જેમની ૮૫ વર્ષથી વધુ ઉમર છે. ૨૧૦૯ મતદાન મથકોની સંખ્યા છે,૬૩૨ ક્રિટીકલ મતદાન મથકો છે જેના પર વેબ કાસ્ટિંગની સુવિધા ઉભી કરાશે તથા વિશેષ પોલીસ વ્યવસ્થા અને માઇક્રો ઓબ્ઝર્વર નિમણૂક કરાશે.જ્યારે જિલ્લામાં કુલ મતદાન મથકોના ૫૦% મતદાન મથકો લાઇવ વેબ કાસ્ટિંગ કરવામાં આવશે જેની સંખ્યા ૭૩૯ છે.જિલ્લામાં સાત એ.સી વાઈઝ કુલ ૩૫ સખી મતદાન મથકો ઊભા કરાશે જે મહિલાઓ દ્વારા જ સંચાલિત કરાશે.૦૭ દિવ્યાંગ મતદાન મથકો ઊભા કરાશે,૦૧ આદર્શ અને ૦૧ યુથ મતદાન મથક નક્કી કરાશે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આદર્શ આચાર સંહિતાની વાત કરતા જણાવ્યું કે,આજથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે જે અંતર્ગત ૨૪ કલાકમાં સરકારી મિલકતોમાં વિવિધ જાહેરાતો દૂર કરાશે, ૪૮ કલાકમાં દરેક જાહેર સ્થળ પરથી સરકારી પ્રચાર પ્રસાર દૂર કરાશે અને આગામી ૭૨ કલાક દરમિયાન ખાનગી સ્થળો ખાતેથી જાહેરાતોને દૂર કરાશે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ તમામને સમાન તક મળે,પારદર્શિતા જળવાઈ રહે તે મુજબનું આયોજન કરાશે. તેમણે કહ્યું કે, આચાર સંહિતામાં નાણાકીય ગ્રાન્ટ, નવા વચનોની જાહેરાત નહિ કરી શકાય, વિવેકાધિન ફંડમાંથી કોઈ ચુકવણું નહીં થાય,નવા ખાતમુર્હુત અને લોકાર્પણ નહિ કરી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું કે,જિલ્લામાં કુલ ૧૯ નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરાઈ છે,૪૫ ફ્લાઈંગ સ્કવોડની ટીમો કાર્યરત કરાઇ છે, સભા, સરઘસ વગેરે માટે ૧૭ વિડીયો સર્વેલન્સ ટીમની નિમણૂક કરાઈ છે. મીડિયા મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે. સી – વીજીલ એપ અંગે માહિતી આપી હતી. આ સાથે આવતીકાલે પ્રથમ રેન્ડેમાઈઝેશન કરાશે. તેમણે કહ્યું કે ચૂંટણીની ગાઇડલાઈન પ્રમાણે તંત્ર સજાગ છે.

ચૂંટણીલક્ષી કોઇપણ માહિતી કે કોઇપણ ફરિયાદ બાબતે ૨૪×૭ કાર્ય૨ત કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવેલ છે.જેનો હેલ્પલાઇન નંબર ૧૯૫૦ છે તથા જિલ્લામાં ફરિયાદ નિવારણ કક્ષ કાર્ય૨ત કરાયો છે. ચૂટણી અધિકારીશ્રી દ્વારા ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ સાથે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૨૦૧૬ પર નાગરિકો આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ કરી શકે છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પંચમહાલ સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને ચૂંટણીને એક પર્વના રૂપે ઉજવવા અપીલ કરી હતી તથા વધુમાં વધુ મતદારો પોતાના કિંમતી મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આહવાન કર્યું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ.પી.કે.ડામોર સહિત જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ સંસદીય મતવિસ્તારની વાત કરીએ ૧૧૯-ઠાસરામાં ૨ લાખ ૭૩ હજાર ૩૫ મતદારો,૧૨૧ બાલાસિનોરમાં ૨ લાખ ૯૧ હજાર ૨૪૫ મતદારો,૧૨૨ લુણાવાડામાં ૨ લાખ ૯૦ હજાર ૯૪૦ મતદારો,૧૨૪ શહેરામાં ૨ લાખ ૬૨ હજાર ૬૪૮ મતદારો,૧૨૫ મોરવા હડફમાં ૨ લાખ ૨૯ હજાર ૫૭૧ મતદારો,૧૨૬ ગોધરામાં ૨ લાખ ૮૧ હજાર ૩૨ મતદારો,૧૨૭ કાલોલમાં ૨ લાખ ૬૧ હજાર ૪૭૪ મતદારો ૦૫ જાન્યુઆરીની  યાદી મુજબ નોંધાયા છે.

ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ  ૧૨/૦૪/૨૦૨૪

ઉમેદવારી પત્રો રજુ ક૨વાની છેલ્લી તારીખ ૧૯/૦૪/૨૦૨૪

ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ ૨૦/૦૪/૨૦૨૪

ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૨૨/૦૪/૨૦૨૪

મતદાનની તારીખ ૦૭/૦૫/૨૦૨૪

 મતગણતરીની તારીખ ૦૪/૦૬/૨૦૨૪

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ ૦૬/૦૬/૨૦૨૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here