પંચમહાલ જિલ્લાના નિવૃત રમતવીરો માટે પેન્શન યોજના અંર્તગત અરજીઓ મંગાવવામાં આવી

ગોધરા, (પંચમહાલ)/ઇશહાક રાંટા :-

પાત્રતા ધરાવતા રમતવીરને સરકારશ્રી તરફથી માસિક રૂ.૩૦૦૦ની રકમ ચુકવવામાં આવશે

ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા નિવૃત રમતવીરોને રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત રમતવીરો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે.આ યોજનામાં વિભાગના તા. ૦૨/૦૮/૨૦૨૩ નવા સુધારા ઠરાવ અન્વયે ગુજરાતના વતની હોય અને ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નિવૃત રમતવીરોને પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે.
રમતવીર પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે કે જેમણે યુવાન વયે પોતાની કારકિર્દી દરમ્યાન ૩૫ વર્ષની ઉંમર સુધી સરકાર દ્વારા યોજવામાં આવતી તથા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના માન્ય ફેડરેશન દ્વારા જે તે સમયે યોજવામાં આવેલ તમામ ઓલિમ્પીક અને માન્ય રમતો જેવી કે કબડ્ડી, ખોખો, યોગાસન, મલખમ જેવી રમતોમાં રાષ્ટ્રીયકક્ષા અને આંતર રાષ્ટ્રીયકક્ષાએ વ્યકતિગત કે સાંધીક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય અથવા રાજય કે રાષ્ટ્રની ટીમના સભ્ય હોય તેવા રમતવીરોને પેન્શન મેળવવાને પાત્ર ગણવામાં આવશે. સરકારશ્રીમાં ફરજ બજાવી નિવૃત થયેલ હોય તથા અન્ય જગ્યાએથી જો નાણાકીય લાભ મેળવતા હોય તો તેઓશ્રીને આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. દિવ્યાંગ ખેલાડીઓ પણ આ યોજનાને પાત્રતા છે. પાત્રતા ધરાવતા રમતવીરની આવકની કોઇ મર્યાદા વગર માસિક રૂ. ૩૦૦૦/- (અંકે રૂપીયા ત્રણ હજાર પુરા)ની રકમ ચુકવવામાં આવશે.
આ યોજના હેઠળ પેન્શન મેળવવા ઇચ્છતા પંચમહાલ જિલ્લામાં રહેતા નિવૃત રમતવીરોએ નિયત નમુનાનું અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, પંચમહાલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (રમત પ્રશીક્ષણ કેન્દ્ર) કનેલાવ તળાવ પાસે, તા. ગોધરા, જી.પંચમહાલ ખાતેથી મેળવી સંપુર્ણ વિગત સાથે બે નકલમાં તા. ૧૫/૦૯/૨૦૨૩ સુધી અત્રેની કચેરી ખાતે કચેરી સમય દરમ્યાન મોકલી આપવાનું રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ યોજના વધુ માહીતી માટે ૮૪૬૯૯૭૬૮૪૦ પર સંપર્ક કરવાનો રહેશે તેમ એમ.ડી.ગોહીલ જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here