ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
*“એક પૃથ્વી એક સ્વાસ્થ્ય”ના નારા સાથે”વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ”અને”હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે
આઇકોનિક સ્થળ પાવાગઢના મંદિર પરિસર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરાશે
પંચમહાલ જિલ્લામાં અંદાજે કુલ પોણા બે લાખથી વધુ લોકો યોગમાં જોડાશે, અત્યારસુધી ૧ લાખ ૯૮ હજાર ૮૮૧ લોકોએ ઓનલાઈન નોંધણી કરાવી
જિલ્લામાંથી ૬૨૫૦૦ વિદ્યાર્થીઓ સહિત પોલીસ વિભાગના જવાનો અને વિવિધ સંસ્થાઓ પણ યોગ દિવસમાં જોડાશે
“યોગવિદ્યા” એ માનવજાતને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલ અમૂલ્ય ભેટ છે. આ ભેટને વિશ્વફલક ઉપર લાવવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવ/હાંકલને સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભામાં મંજુરી મળી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧ મી જૂનને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.
ચાલુ વર્ષે ૨૧ જૂન ૨૦૨૩ના રોજ ૯મા વિશ્વ યોગ દિવસની સમગ્ર રાજ્યમાં જન ભાગીદારી સાથે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ”ની થીમ સાથે ઉજવણી કરાશે.
પંચમહાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ગોધરા ખાતે કરાશે. આઇકોનિક સ્થળ પાવાગઢના મંદિર પરિસરમાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જિલ્લા કક્ષાની ઉજવણીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ,સાંસદશ્રી રતનસિંહ રાઠોડ,જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,સર્વ ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી,શ્રી ફતેહસિંહ ચૌહાણ, શ્રી જયદ્રહસિંહજી પરમાર,શ્રીમતી નિમિષાબેન સુથાર સહિત જિલ્લા કલેકટરશ્રી સાથે જિલ્લા વહીવટી તંત્ર પણ જોડાશે.
યોગ દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં અંદાજે પોણા બે લાખ લોકો યોગમાં ભાગ લેશે. યોગ દિવસને લઈને અત્યારસુધી ૧ લાખ ૯૮ હજાર ૮૮૧ લોકોએ http://desk.voiceey.com/idoy/ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.જિલ્લાભરમાંથી કુલ ૬૨૫૦૦ વિદ્યાર્થીઓ પણ યોગમાં જોડાશે.આ સાથે પોલીસ વિભાગના જવાનો,આરોગ્ય વિભાગના કર્મચારીઓ,વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ યોગ દિવસમાં સહભાગી બનશે.