રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
પાણીની આવક ડેમ ખાતે ઘટતા એક જ વીજ ઉત્પાદન કરતુ ટર્બાઇન ચાલુ
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમા સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. નર્મદા ડેમની જળસપાટી 121.92 મીટરે પહોચી છે.
નર્મદા ડેમમા ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં ડેમની જળસપાટીમા સતત વધારો નોંધાયો હતો અને સપાટી 128 મીટર સુધી પહોંચી હતી. સપાટીમા વધારો થતાં ડેમ ખાતેના વીજ ઉત્પાદન કરતા 6 ટર્બાઇન ચાલુ કરી કરોડો રૂપિયાની વીજ ઉત્પાદનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ ડેમ ખાતે પાણીની આવકમા દરરોજ સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે, જેથી એક જ ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન હાથ ધરાઇ રહેલ છે.
ચોમાસાની શરૂઆત પહેલા જ ડેમની જળસપાટીમા સતત વધારો થયો હોય અને સપાટી 128 મીટર સુધી પહોંચ્યાની ઘટના પ્રથમ વાર જ બની હતી.
હાલ ડેમની જળસપાટી 121.92 મીટરની છે આ સપાટીએ અગાઉ જયાંરે ડેમના દરવાજા નહોતા બેસાડયા ત્યારે ડેમ આ સપાટીએ ઓવરફ્લો થતો હતો.