રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
તા. ૦૭ ફેબ્રુઆરીના રોજ નાંદોદના કરાંઠા અને થરી ગામે પુન: ભ્રમણ કરશે વિકસિત ભારત સંકલ્પ યાત્રા
આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતા એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના વંચિત લાભાર્થીઓ કે જેઓ આધાર-પુરાવાના કારણે યોજનાકીય લાભો લેવામાં અસફળ રહ્યા હોય તેવા વંચિત લાભાર્થીઓને કેન્દ્રસ્થાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પુન: આયોજન કરવામાં આવ્યું છે.
આ સંકલ્પ યાત્રા રાજ્યની કુલ આઠ ટ્રાયબલ જિલ્લાની ૪૬૫ ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરશે. જેમાં તા. ૦૭ મીએ નાંદોદ તાલુકાના કરાંઠા ગામે સવારે ૧૧:૦૦ કલાકે અને થરી ગામે બપોરે ૩:૦૦ કલાકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાશે. આધાર-પુરાવાના કારણે વંચિત રહી ગયેલા લાભાર્થીઓ ફરી વાર આયોજિત આ સંકલ્પ યાત્રાનો લાભ લઈને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત બનાવવાની સંકલ્પનાને સાકાર કરવામાં પોતાની ભાગીદારી અદા કરી શકે છે અને ઘરઆંગણે વિવિધ યોજનાકીય સહાય અને લાભો મેળવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી કેન્દ્ર-રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટેની સુદ્રઢ પ્રતિબધ્ધતા દાખવી રહી છે.