રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
કેવડીયા ખાતે સિમેન્ટના થાંભલા તોડી નંખાયાનો બીજો બનાવ…કોણે તોડયા રહસ્ય અકબંધ..!!
75 થાંભલા તોડી 23000 નો નિગમની મિલકતને નુકશાન કરાયાની પોલીસ મથકમાં ફરિયાદ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના અસરગ્રસ્ત આદિવાસીઓ અને સરદાર સરોવર નર્મદા નિગમ વચ્ચે વાદવિવાદ દિનપ્રતિદિન વકરતો જાય છે, નિગમ કોઇ પણ ભોગે સંપાદિત જમીનના ફેન્સીંગની કામગીરી કરવા માટે મક્કમ છે, જયારે અસરગ્રસ્ત આદિવાસીઓ પોતાના બાપ દાદાના જમાનાની જમીનો છોડવાની તૈયારીમા નથી.
સમગ્ર મામલામા રાજયભરનાં આદિવાસી સમાજના સંગઠનો અસરગ્રસ્તોની વહારે આવી રહયા છે, ભાજપા સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી દરમિયાનગીરી કરવાની વિનંતી કરી છે.
ત્યારે SSNL દ્વારા કેવડીયા ગામ ખાતે જમીનોને ફરતે ફેન્સીંગ કરવા સિમેન્ટના થાંભલા ગાડયા હતા જેને તોડી નાખવામાં આવતા કેવડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં નિગમની માલિકીના 75 થાંભલા તોડી નાખી 23400 નુ નુકશાન કરાયાની અને નિગમની માલિકીની સંપાદિત કરેલ સર્વે નંબર 404, 408,અને 409 મા ગેરકાયદેસર પ્રવેશ કરી નુકસાન કર્યાની ફરિયાદ અજાણ્યા ઇસમો સામે નોંધાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ થાંભલા તોડી નંખાયા હતાં અને તેની પણ ફરિયાદ નિગમ દ્વારા નોંધાવી હતી.