ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
જરૂરી પુરાવા, બેન્ક ખાતાની વિગતો રજૂ કરી વળતર મેળવી રહેવાનું રહેશે
સક્ષમ અધિકારી અને વધારાના ખાસ જમીન સંપાદન અધિકારીશ્રીની એક અખબારી યાદીમા જણાવ્યા અનુસાર દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે નં. 148/એન માટે પંચમહાલ જિલ્લામાં સંપાદન કરાયેલ જમીનના જમીનધારકો/હિત ધરાવતા ઈસમોને વળતર ચૂકવવા તથા સંપાદન હેઠળની જમીનનો કબજો સોંપવા બાબત જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમની જમીન આ હેતુ માટે સંપાદિત થઈ છે, તેવા સંબંધિત જમીનધારકો/હિત ધરાવનાર વ્યક્તિઓને વળતર મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે. જે જમીનધારકોએ જરૂરી પુરાવા તથા બેન્ક ખાતાની વિગતો રજૂ કર્યા હશે તેઓને વળતરની રકમ તેઓના બેન્ક ખાતામાં RTGSથી જમા કરાવવામાં આવશે. જે જમીનધારકોએ જરૂરી પુરાવા તથા બેન્ક ખાતાની વિગત રજૂ કરી ન હોય તેઓએ તે તાત્કાલિક રીતે કચેરીમાં જમા કરાવવાના રહેશે, જે રજૂ થયા બાદ તેઓના ખાતામાં વળતરની રકમ RTGSથી જમા કરાવવામાં આવશે. જે જમીનધારકો/હિત ધરાવનાર વ્યક્તિઓએ નોટિસ પ્રસિદ્ધ થયાની તારીખથી 60 દિવસની અંદર જરૂરી આધાર-પુરાવા સક્ષમ અધિકારી અને વધારાના ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી, ગુરૂકૃપા કોમ્પલેક્ષ, એલઆઈસી રોજ, ત્રીજે માળ, પંચમહાલ, ગોધરા ખાતે રજૂ કરી તેઓનું વળતર મેળવી લેવામાં આવેલ નહીં હોય તો તેઓએ વળતર મેળવી લીધાનું માની લેવામાં આવશે. નોટિસ પ્રસિદ્ધ થયા તારીખથી 60 દિવસની અંદર જમીનધારકો/હિત ધરાવનાર વ્યક્તિઓએ સંપાદિત થયેલ જમીનનો કબજો વધારાના ખાસ જમીન સંપાદન અધિકારીને સુપરત કરવાનો રહેશે તેમ કરવામાં કસૂર થયેથી જમીનનો કબજો પોલિસની મદદથી મેળવી લેવામાં આવશે તેની નોંધ લેવા આ યાદીમાં જણાવાયું છે.