છોટાઉદેપુર, સકીલ બલોચ :-
૧૪ મી એપ્રિલ, ૧૯૪૪ ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઇના વિકટોરીયા ડોક ચાર્ડમાં લંગારેલા “ ફોર્ટ સ્ટાઇકીન” માલવાહક જહાજમાં ૨૦ લાખ પાઉન્ડની સોનાની પાટો, લડાયક શસ્ત્રો, સ્ફોટક પદાર્થો, લશ્કરી દારૂ ગોળો વિગેરે મળી ૭૨૦૦ ટન સામાન ઉપરાંત આ જહાજમાં કરાંચી થી ૮૦૦૦ રૂની ગાંસડીઓ, ઓઇલ, લાકડું, સલ્ફર, માછલીનું ખાતર અને રોઝીન વગેરે ભરવામાં આવ્યુ હતુ. જહાજમાં ધુમપાનમાંથી ઉડેલા તણખામાંથી ભયંકર ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી. જેમા મુંબઇ ફાયરબ્રિગેડના ૬૬ કર્મચારીઓ શહીદ થયા હતા. આ ભયાનક આગમાં કુલ ૩૨૧ વ્યકિતઓ એ પોતાના જાન ગુમાવ્યા હતા. આ ધડાકાથી માલવાહક જહાજનું ૧૨૦ મીટર લાંબા તરતા બોંબમાં રૂપાંતર થઇ ગયુ હતું. મુંબઇની ધરતી ધ્રુજી ઉઠી હતી અને ૫૦૦૦ ટનનું ૧૨૦ મીટર લાંબુ જયનંદા જહાજ ૧૮ મીટર ઉંચુ હવામાં ફંગોળાયુ હતુ, આનાથી નાના મોટા ૨૬ જહાજો ગોદીમાં ડુબી ગયા હતા. એ દિવસથી દર વર્ષે “ ૧૪ મી એપ્રિલ” એ અગ્નિશમન દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે.
આજરોજ છોટાઉદેપુર ખાતે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા નગરમાં રેલી સ્વરૂપ નીકળી અને ફાયર સેન્ટર પરત ફરી હતી અને મુંબઈમાં બનેલી દુર્ઘટના માં પોતાના જીવનની આહુતિ આપનાર ફાયર બ્રિગેરના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.