ગોધરાનાં ગઢચુંદડી ખાતે ૭૨માં વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

૩૭.૬૬ લાખ રોપાઓના વાવેતરનો સંકલ્પ દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરીને પર્યાવરણના જતનનો સંકલ્પ લે – સુશ્રી કામિનીબેન સોલંકી

ગોઘરા જિલ્લાનાં ૭૨ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી ગઢચુંદડીની દિલ્લી ૫બ્લિક હાઇસ્કુલ ખાતે યોજાયી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકી તેમજ મોરવા હડફનાં ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ સહિતનાં મહાનુભાવો વનમહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમાં સહભાગી થયાં હતા. ગોધરામાં વનમહોત્સવ અંતર્ગત ૩૭.૬૬ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી કામિનીબેન સોલંકીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર વન અને પર્યાવરણનાં જતન માટે કટિબદ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા વનનો વિસ્તાર માટે દર વર્ષે વનમહોત્સવ ઉજવવામાં આવે છે. વન મહોત્સવનાં પ્રણેતા શ્રી કનૈયાલાલ મુનસીને આજે નમન કરીએ છીએ. તેમણે શરૂ કરેલી વનમહોત્સવની પરંપરાને રાજ્ય સરકારે સુપેરે નિભાવી છે. અત્યારે ગોધરા સહિત સમગ્ર રાજ્યમાં વનવિસ્તારમાં વધારો કરવા, તેનું જતન કરવા સરકાર દ્વારા અથાક પ્રયત્નો થકી વનસંપદામાં વધારો થયો છે. વૃક્ષો એ આપણા જીવનનો આધાર હોય દરેક વ્યક્તિએ પોતાના જન્મદિવસે વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરવા સંકલ્પ લેવો જોઇએ.
વનમહોત્સવ પ્રસંગે મોરવા હડફનાં ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં જ વૃક્ષોના જતનનો મહિમા ગવાયો છે. આપણી સંસ્કૃતિ વૃક્ષોની પોષક છે. જીવન જીવવા માટે ઓક્સિજનની મહામુલી સંપદા આપનારા વૃક્ષોનું આપણે સૌએ જતન કરવું જોઇએ. વૃક્ષોના પરોપકાર જેવા ગુણોનું આપણા જીવનમાં પણ સિંચન કરવું જોઇએ. આજના વનમહોત્સવનાં દિવસે દરકે વ્યક્તિએ એક વૃક્ષ ઉછેરવાની જવાબદારી લેવી જોઇએ અને આપણા જિલ્લાના વનને વધુ ઘનિષ્ઠ બનાવવા પ્રયાસ કરવા જોઇએ.
વડોદરા વનવર્તુળનાં મુખ્ય વનસંરક્ષક સુશ્રી આરાધના સાહુએ ૭૨માં વનમહોત્સવ પ્રસંગે ગોધરા જિલ્લામાં ૩૭.૬૬ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને ગોધરા તેમજ મહિસાગર જિલ્લામાં થઇને કુલ ૬૩.૫૯ લાખ રોપાઓના વાવેતરનાં આયોજન વિશે જણાવ્યું હતું.
આ પ્રસંગે સ્વસહાય જુથની મહિલાઓને મિશન મંગલમ યોજના અંતર્ગત સહાયના ચેક આપવામાં આવ્યા હતા. તેમજ વનસંપદાના જતન કરવા માટે શકુન્તલા સંસ્કાર કેળવણી મંડળ તેમજ વનવિભાગના કર્મયોગીઓને પ્રશસ્તિપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ દિલ્હી પબ્લિક સ્કુલનાં પરિસરમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું અને વૃક્ષ રથને લીલી ઝંડી બતાવી પ્રયાણ કરાવ્યું હતું. કાર્યક્રમ સ્થળે રોપાઓનું વિતરણ પણ વનવિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત નાગરિકોએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાઇ રહેલા રાજ્યકક્ષાના વનમહોત્સવ કાર્યક્રમનાં જીવંત પ્રસારણને રસપૂર્વક નિહાળ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી સુનીતાબેન બારીઆ, અગ્રણી શ્રી મયંકભાઇ દેસાઇ, શ્રી કુલદીપસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મહિપાલસિંહ, ગોધરાના નાયબ વનસંરક્ષક શ્રી આર.એસ. પુવાર સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here