કુંકાવાવ તાલુકાનાં સનાળી ગામે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમમાં નૂતન આશ્રમનું ઉદ્દઘાટન, શોભાયાત્રા તેમજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન

બાબરા, (અમરેલી) હિરેન ચૌહાણ :-

વર્તમાન સમયના ભજનાનંદી, તપસ્વી, ત્યાગી અને વિરક્ત સંતસમાજમાં જેઓશ્રીનું નામ ખૂબ જ અગ્રસ્થાને મનાય છે એવા શિવયોગી, સનાતન ધર્મ ધુરંધર, યતીન્દ્રવર્ય, સંન્યાસી સંતવર્ય પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે પોતાની યુવાવસ્થામાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં પદયાત્રાઓ કરી સમાજનું નવઘડતર અને જનમાનસમાં સેવા અને માનવતાનાં તથા ધર્મનાં સંસ્કારોનું સિંચન કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. સ્વામીજીની પ્રેરણાથી આજે સૌરાષ્ટ્ર પ્રાંતમાં 18 આશ્રમો નિર્મિત થયા છે, જ્યાં ધર્મ અને માનવસેવાનાં પવિત્ર કાર્યોથી સૌરાષ્ટ્રની જનતા પુન: પુન: લાભાન્વિત થયા કરે છે. એમાંનો જ એક આશ્રમ કુંકાવાવ તાલુકાના સનાળી ગામે આવેલો છે, કે જ્યાં પૂજ્ય સ્વામીજીએ અનેકોવાર પધારીને ગ્રામજનોને શિવભક્તિ અને માનવસેવાધર્મનો બોધ આપેલ છે. આ આશ્રમનું મકાન જીર્ણ થતાં સનાળી ગામ સમસ્ત ગ્રામજનો તેમજ ઉદારદિલ દાતાશ્રીઓનાં સહયોગથી ખૂબ જ સુંદર આશ્રમ નવનિર્માણ પામ્યો છે ત્યારે આગામી તા.12-05-2024 ને રવિવારનાં રોજ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં આ આશ્રમનો ભવ્યાતિભવ્ય ઉદ્દઘાટન સમારોહ, સાથે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ-ટીંબીનાં લાભાર્થે રક્તદાન કેમ્પ તથા શોભાયાત્રા વગેરેનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે આગામી તા.11-05-2024 ને શનિવારનાં રોજ સાંજે 5.00 કલાકે સનાળી ગામની ભાગોળે ભવ્ય શોભાયાત્રા નીકળશે. તા.12-05-2024 ને રવિવારે સવારે 8.00 કલાકે રક્તદાન કેમ્પનો શુભારંભ થશે.
8.30 કલાકે આશ્રમનાં સત્સંગ ભવનનું, સંતકુટિરનું તેમજ ગુરુમંદિરનું ઉદ્દઘાટન કરવામાં આવશે અને સર્વે ગુરુભકતોની સાથે પૂજ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનાં વરદહસ્તે નૂતન ગુરુમંદિરમાં ગુરુપ્રતિમાની પૂજનવિધિ અને મહાઆરતી કરવામાં આપશે. ત્યારબાદ 9.30 કલાકે ધર્મસભામાં પૂજ્ય સ્વામીજી માનવજીવનનાં સર્વોત્તમ વિકાસ માટેની પ્રેરણા આપતું, શિવભક્તિ અને ગુરુભક્તિમય પ્રવચન આપશે. ત્યારબાદ દાતાશ્રીઓનાં સન્માન તેમજ મહાનુભાવોનાં પ્રાસંગિક વક્તવ્યો થશે. ધર્મસભા પૂર્ણ થયા બાદ સર્વે ધર્મપ્રેમીજનો મહેમાનો વગેરે સમૂહ ભોજન- મહાપ્રસાદનો લાભ પ્રાપ્ત કરશે. આ પ્રસંગે આયોજિત રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે પધારવા સર્વે યુવા રક્તદાતા ભાઈઓ- બહેનોને અનુરોધ કરવામાં આવે છે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા માટે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ – સનાળી ગામ સમસ્ત સર્વે ધર્મપ્રેમી જનતાને સહૃદય નિમંત્રણ પાઠવે છે.
સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુ-ટ્યુબ ચેનલ ગુરુ-સાન્નિધ્ય (Guru Sannidhya) પર પ્રસારિત કરવામાં આવશે તેમ આશ્રમ સેવક અમીતગીરી ગોસ્વામી નીં યાદી જણાવેલ.

મહોત્સવનું શુભસ્થળ :-
સ્વામી શ્રી નિર્દોષાનંદજી સંન્યાસ આશ્રમ
મુ. સનાળી
તા. કુંકાવાવ (મોટી)
જિ. અમરેલી
સંપર્ક +91 82388 48803 / +91 98257 96301

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here