કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
કાલોલ તાલુકાના બાકરોલ ગામ વિસ્તારમાં વહેતી કરાડ નદીમાં શુક્રવારે તદ્દન નગ્ન અવસ્થામાં કોઈ અજાણી મહિલાની લાશ જોવા મળતા ભારે કુતૂહલ સર્જાયું હતું. જે લાશ અંગે સ્થાનિક સરપંચ દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા લાશ વહી જતા લાશ અંગે રહસ્ય યથાવત રહ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ ગામની સિમમાં વહેતી કરાડ નદીના કાંઠે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિરે જતા લોકોએ નદીના ડીપ નાળા પાસેની ઝાડીઓમાં ફસાયેલ નિર્વસ્ત્ર હાલતમાં એક મહિલાનો મૃતદેહ હોવાનું જોવા મળતા ભારે કુતૂહલ સર્જાયું હતું. જે ઘટનાની જાણકારીને પગલે સ્થાનિક સરપંચે કાલોલ પોલીસને કોઇ અજાણી મહિલાની લાશ અંગે જાણકારી આપતા કાલોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા નદીના વહેણમાં લાશ તણાઈ ગયેલી હોવાનું જાણવા મળ્યું હતું, તદ્ઉપરાંત ગામ લોકોના જણાવ્યા મુજબ સવારે નદીમાં પાણી ઓછું હતું પરંતુ પોલીસ આવે એ પહેલાં ઉપરવાસમાં આવેલા ડેમમાંથી પાણી છોડાતા પોલીસ ઘટના સ્થળે પહોંચે એ પહેલા નદીના વહેણમાં લાશ તણાઇ જવાને પગલે પોલીસે બાકરોલ સીમથી આગળ કાલોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા રતનપુરા ગામના નદી પટ સુધી તપાસ કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ કોઈ ભાળ નહીં મળતા પોલીસ ખાલી હાથે પરત ફરી હતી. જે ઘટના અંગે બાકરોલ પંથકના સોશિયલ મીડિયામાં નદીમાં મહિલાની લાશ સાથેના ફોટા વિડિયો વાઇરલ પણ થયા હતા. તેમ છતાં નદી પટમાં એક અજાણી એવી નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળેલી લાશ અંગે આ મૃતદેહ ક્યાંથી તણાઈ આવ્યો હશે ? કે પછી આ મહિલા કોઈ અઘટિત ઘટનાનો શિકાર બની હશે.? મહિલાની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાયો હશે એ અંગે અનેક તર્કવિતર્કો સર્જાયા હતા.