કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
વડોદરા શામળાજી જતા મુખ્ય માર્ગો કાલોલ નગરમાંથી પસાર થાય છે. આ માર્ગે વચ્ચે આવેલ કાલોલ હાલોલ વિસ્તારોમાં આવેલ જી.આઇ.ડી.સીઓમાં ઔદ્યોગિક એકમો આવેલાં છે. આ ઔદ્યોગિક એકમોમાં વડોદરા ગોધરા હાલોલ કાલોલ તેમજ સાવલી આમ ચારેકોરથી કામદારો અને આ ઔદ્યોગિક એકમોમાં આવતાં માલ સમાન અને આ માર્ગ પરથી પસાર થતાં વાહન ચાલકો કાલોલ માંથી પસાર થતાં હોય છે. તદુપરાંત કાલોલ ની દક્ષિણે સુપ્રસિદ્ધ પાવાગઢ અને તાજપુરા ખાતે નારાયણ બાપુના ધામ આવેલા છે આ બંને ધાર્મિક સ્થળો પર દર્શન માટે આવતા અનેક શ્રદ્ધાળુઓ પણ આ માર્ગ પરથી પસાર થતા હોય છે. જોકે હાલ આથી જ શરૂ થયેલા ગણેશ મહોત્સવમાં અનેક ભાવિ ભક્તો પોતાના વિસ્તારોમાં શ્રી ગણેશજીની સ્થાપના કરવા માટે કાલોલ હાલોલ વડોદરા શહેર માંથી ગણેશજીની મૂર્તિઓ ખરીદી આ જ માર્ગ પરથી પસાર થતા હોય છે. અને દસ દિવસ પછી આજ માર્ગો પર શ્રી ગણેશજીની શોભાયાત્રાઓ નીકળશે.જ્યારે રાત દિવસ હજારો રાહદારીઓ અને વાહન વ્યવહાર પસાર થતાં હોય છે. પરંતુ આ માર્ગ પર મસ્ત મોટા ખાડાનાં દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આવા મસ્ત મોટા ખાડાઓનું સર્જન તો થતું હોય છે. પરંતુ તેનું નવનિર્માણ લાંબા સમય સુધી ના થતા રોડના ઘસારાને કારણે મસ્ત મોટા ખાડાઓ અકસ્માતનું કારણ બની જતા હોય છે. માર્ગોના ટોલ પ્લાઝા ઉપર ટેક્સ વસૂલ કરતા જવાબદાર વ્યક્તિઓ શું માત્ર ટેક્સ વસૂલવામાં જ રસ ધરાવે છે ? કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે ? હાલ કાલોલ નગરમાંથી પસાર થતાં બોરૂં ટર્નિંગ થી કાલોલ એમજીએસ સ્કૂલ સુધી બંને તરફના માર્ગો પર વરસાદના કારણે રોડ તૂટી જતાં ખાડાઓ પડી ગયાં છે. આ ખાડાઓ નાં કારણે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જ તેનું પુરણ કરવામાં આવે અને માર્ગો નું નવનિર્માણ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.