- રવિવારની રજા માળવા અંકલેશ્વરના 12 મિત્રો ઘાણીખૂંટ ધોધ ખાતે આવ્યા એક મિત્ર કાળનો કોળીયો બન્યો
- કરજણ નદીના પાણીમાં તણાતા મિત્રને બચાવવાની બીજા મિત્રની કોશિશ પણ નાકામ
- યુવાનની લાશ બીજા દિવસે મળી આવતા પરિવારજનો સહિત મિત્રોમાં ગમગીની
રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ
નર્મદા ભરુચ જીલ્લાના જંગલ વિસ્તારમાં બે દિવસથી ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી માત્ર 12 કિ.મી. અંતરે વહેતી કરજણ નદીમાં પાણીની સારી આવક થવા પામી છે. જેના પગલે ધાણીખૂંટના ધારિયા ધોધમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે. જો કે કોરોનાના વધતા જતાં સંક્રમણના કારણે ગ્રામજનો દ્વારા ધારિયા ધોધ ખાતે હરવા ફરવા આવતા સહેલાણીઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. તેમ છતાં પ્રવાસીઓ તેનો અનાદર કરી અહીંયા નયન રમ્ય ધોધ શો નજારો જોવા હરવા ફરવા આવી રહ્યા છે.
ગતરોજ રવિવારની રજા હોય ને આનંદ ઉલ્લાસ સાથે ફરવા માટે અંકલેશ્વર શહેરના અંદાડા અને ગડખોલ પાટીયા વિસ્તારમાંથી 12 મિત્રો ધાણીખૂંટના ધારિયા ધોધ ખાતે ફરવા માટે આવ્યા હતા. જેમાં ચંદન ઘનશ્યામ સહાની અને કારનો ડ્રાઇવર મેહુલ રમેશ ઓડ પાણીના ધોધમાં નાહ્વા પડ્યા હતા. જોકે પાણીનું વહેણ વધારે હોવાથી મેહુલ ઓડ બહાર નીકળી ગયો હતો. જ્યારે ચંદન સહાની થાકી જતા તેણે સહારો માંગતા મેહુલે પાણીમાં કૂદકો માર્યો હતો, ત્યારે કરજણ નદીના ઉપરવાસમાંથી પાણીનો તેજ પ્રવાહ આવતો હોયને જોત જોતામાં મેહુલ ઓડ પાણીના ભારે વહેણમાં તણાયો હતો. અને નદીના પાણીમાં ડુબી ગયો હતો.
પોતાના વિસ્તારમાં નદીમાં યુવાન ડુબયાની જાણ થતાં થવા ગામના સરપંચ અશોક વસાવા સહિત મોટી સંખ્યામાં ગામ લોકો આવી પહોંચ્યા હતા.
ગ્રામજનોએ પાણીના વહેણમાં તળાયેલ યુવાનની શોધખોળ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી તળાયેલા યુવાનો પત્તો લાગ્યો ન હતો.
આ બનાવની જાણ યુવાનના પરિવાર જનોને થતા તેઓ પણ ધાણીખુટ ધોધ ખાતે કરજણ નદીના કિનારે દોડી આવ્યા હતા. શોધ ખોળના અંતે આજરોજ યુવાનની લાશ નદીના પાણીમાં મળી આવતા પરિવારજનો સહિત હરવાફરવા નીકળેલા મિત્રોમાં ભારે ગમગીની છવાઈ હતી.