સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-
સિધ્ધપુર થી તાવડીયા વાધણા રોડ ઉપર આવેલ મોયડીના વોઘા નજીક આજે કોઈ અજાણ્યા લોકોએ પારદર્શક દેખી શકાય તેવા પ્લાસ્ટિકના નાનામોટા ગોળ ડબ્બામાં અવિકસિત માનવ ભ્રુણ સહિત નાનામોટા બોડી ઓર્ગન કે બાયોમેડીકલ વેસ્ટને મોટી સફેદ કોથળી માં ભરી નાંખી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા અરેરાટી વ્યાપી જવા પામી છે.અત્યારે તો આ જોતા ખરેખર માનવતા મરી પરવારી હોય એવુ જર્ધન્ય આવું કૃત્ય કરનારા ઓ સામે ચારેતરફથી ફિટકાર વર્ષી રહ્યો છે.આ અંગે સિદ્ધપુર ટીએચઓની ફરિયાદના આધારે કાકોસી પોલીસે એફએસએલ મદદ થકી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
આજરોજ સિદ્ધપુર નજીક ના તાવડીયા થી વાઘણા જવાના રસ્તા ઉપર મોયડી ના વોઘા(તળાવ)પાસે અલગ-અલગ ડબાઓમાં ભ્રુણ જેવું કાંઈક બિન વારસી હાલતમાં પડેલું દેખાયું હતું.બાદમાં આ બાબત લોકોના ધ્યાને આવતાં તેઓએ તાવડીયા સરપંચને જાણ કરી હતી. આથી મહિલા સરપંચ ના પતિ ડાયાભાઈ પટેલેએ સત્વરે કાકોસી પોલીસને આ અંગે જાણ કરી હતી. આથી કાકોસી ઈ., પીએસઆઈ પી.એસ. ગૌસ્વામી,બીટ જમાદાર અશ્વિનભાઈ દેસાઈ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી.પોલીસે ઘટનાસ્થળે આવી આ ભ્રુણ અંગે વિસ્તુત તપાસ હાથ ધરી હતી.પોલીસે આ ઘટના ની જાણ સિદ્ધપુર ટીએચઓ રેખાબેન નાયક કરતા તેઓ પણ તેમના આરોગ્ય સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતા લોકોનું ટોળું પણ કુતૂહલવશ ઘટના સ્થળે પણ એકઠું થઇ ગયું હતું.આ ભ્રૂણ ને જે રીતે રખાયા હતા તે જોતા કોઈ પ્રસુતિ ગૃહ કે હોસ્પિટલ દ્વારા ગેરકાયદેસર ગર્ભપાત કરાયા હોય અથવા હોસ્પિટલના ડીસ્પ્લે માટે મુકાયા હોય અને તેનું ડીસ્પોઝ સરકારના નિયમો પ્રમાણે કરવાના બદલે આ ભ્રુણ આવી રીતે ફેંકી દેવાયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું.આમાંથી એક ડબ્બામાં અવિકસિત માનવ ભ્રુણ હોવાનું જ્યારે ચોક્કસ જાણી અન્ય ડબ્બાઓમાં ખરેખર માનવ ભ્રુણ જ છે કે કોઈ અન્ય ઓર્ગન કે બાયો મેડીકલ વેસ્ટ છે તે અંગેની ચોકસાઈ કરવા સ્થાનિક આરોગ્ય ટીમ ને સાથે રાખી એફએસએલ ની ટીમ ની પણ મદદ લેવામાં આવનાર હોવાનું પીએઅસાઈ પી.એસ.ગૌસ્વામીએ જણાવ્યું હતું.આ ભ્રુણ જે કોથળીમાં પેક કરી ફેંકી દેવાયા હતા તેના ઉપર સિદ્ધપુરના એક ખાનગી દવાખાનાનું નામ પણ લખેલું(પાર્સલ મોકલતી વખતે લખાતું હોય એવું લખાણ)નજરે પડ્યુ છે ત્યારે આ ભ્રુણ તે દવાખાનાના છે કે પછી કોઈ ચોકકસ તત્વો દ્વારા એ ખાનગી દવાખાના અને ડૉકટરને બદનામ કરવા આવું લખાણ જાણીજોઈ ને લખ્યું હશે તે અંગે યોગ્ય તપાસ બાદ જ હકીકત બહાર આવી શકે તેમ છે. આ ડબ્બાઓને બિનવારસી હાલતમાં ફેંકી દેવાયેલ મળી આવતાં પોલીસે તે અંગે ગુનો નોંધી તેની આગળની તપાસ હાથ ધરી છે.આમ,ડબ્બામાં ત્યજી દેવાયેલ આ ભ્રુણનો કિસ્સો પ્રકાશમાં આવતા તે અત્યારે ટોક ઓફ ધી તાલુકા બની જવા પામ્યો છે.એફએસએલ ના રીપોર્ટ બાદ આ ભ્રુણ સહિત તમામનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવશે તેવું સિદ્ધપુર ટીએચઓ આર. ડી.નાયકે ઉમેર્યું હતું.