સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
ધાર્મિક નગરી સિધ્ધપુરમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે ઔ.સ.બ્રાહ્મણ જ્ઞાતિની અંબાવાડી ખાતે જગત જનની માં અંબાના સાનિધ્યમાં ચાચરચોમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની મહિલા ઉત્કર્ષ મંડળ સિદ્ધપુર, મહેસાણા,પાલનપુર તથા અમદાવાદ દ્વારા શ્રીમદ્દ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.આ પારાયણનું દીપ પ્રાગટ્ય પ્રખર અર્થશાસ્ત્રી ડો.જયનારાયણ વ્યાસે કર્યું હતું.આ પારાયણમાં પ્રજ્ઞા પુત્રી ડો.શ્રીમતી મમતાબેન પંડિત વ્યાસપીઠે બિરાજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સ્વ.અંબાબેન બાબુભાઈ દેસાઈના સ્મરણાર્થે તથા કોરોના કાળમાં ગુમાવેલા સ્વજનો તેમજ સર્વ પિતૃ ઓના મોક્ષાર્થે યોજાયેલ શ્રીમદ્દ ભાગવત જ્ઞાન સપ્તાહ ચૈત્ર વદ નોમને તા.૨૪/૦૪/૨૨ થી ચૈત્ર વદ અમાસને તા ૩૦/૦૪/૨૨ રાત્રે ૮ થી ૧૧ કલાક સુધી યોજાનાર છે.આ પારાયણ માં પ્રથમ દિવસે પોથી યાત્રા,બીજા દીવસે શ્રી સુખદેવજીનું પ્રાગટય, ત્રીજા દિવસે શ્રી વામન અવતાર,ચોથા દિવસે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, પાંચમા દિવસે શ્રી ગોવર્ધન પૂજા તેમજ રાસલીલા, છઠ્ઠા દીવસે શ્રી રૂક્ષમણી વિવાહ,ભગવાનનું મોમેરું, ભગવાનની જાન તેમજ સાતમા દિવસે શ્રી પરીક્ષિત રાજા મોક્ષની કથાના સુંદર વર્ણન સાથે શ્રીમદ્દ ભાગવત પારાયણનું વિરામ કરાશે.ભાગવત કથાના વિરામ દિવસે સ્વ કંચનબેન હરેશશ્ચંદ્ર ઠાકર(પ્રેસવાળા પરિવાર)તરફથી જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભાગવત પારાયણમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવિક ભક્તજનો કથાજ્ઞાનનું રસપાન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.