છોટાઉદેપુર, સકીલ બલોચ :-
છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે આવેલ ઉચ્ચતર પ્રાથમિક શાળાની દીવાલની પાછળના ભાગે શાળાના કોટની બહાર એક વિરાટ વૃક્ષ ભારે પવનને કારણે તૂટી પડતા શાળામાં આવેલી શૌચાલય અને શાળાની મુખ્ય દીવાલ ઉપર નમી પડ્યું છે. જેના કારણે દીવાલ તૂટી પડવાની દહેશત વર્તાઈ રહી છે. ચાર દિવસ પહેલા આવેલ ભારે પવનો ફૂંકાતા આ વૃક્ષ ઉખડી પડ્યું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આજદિન સુધી તેને કપાવી દૂર કરવામાં આવ્યું નથી. જેના કારણે ભવિષ્યમાં ભારે અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે.
છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે શાળાની દીવાલ ઉપર વૃક્ષ તૂટીને નમી પડતા આવેલ શૌચાલય ના સ્લેબ ઉપર પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તથા કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ એ પણ એક વિચારવા જેવો વિષય છે. સદર શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હોય હાલ વેકેશન ખુલી જતા શાળાઓ શરૂ થઈ ગઈ છે. ચાલુ શાળાએ કોઈ બનાવ બને તો તેની જવાબદારી કોણ લે એ એક પ્રશ્ન છે. તૂટીને નમી પડેલા વૃક્ષ તાત્કાલિક કપાવવામાં આવે અને શાળાની દિવાલથી દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.