કોરોના સામે રક્ષણ માટે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં બિરાજમાન ગણપતિ દાદાની વિશેષ પૂજા-અર્ચના કરાઇ

અંબાજી,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

માં અંબે સમસ્ત જન સમુદાયની રક્ષા કરે તે માટે પંડિતોએ પ્રાર્થના કરી


કોરોના વાયરસની વૈશ્વિક મહામારીથી સમગ્ર દુનિયા પરેશાન છે ત્યારે વિશ્વભરમાં ફેલાયેલી આ મહામારીમાંથી મુક્ત થઇ આપણા રાજ્ય, દેશ અને દુનિયામાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ પથરાય તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન અનુસાર કોરોના સામે રક્ષણ માટે અંબાજી મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં બિરાજમાન સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ દાદાનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ પૂજા- અર્ચના કરવામાં આવી હતી.
જગતજનની જગદંબાના ચાચર ચોકમાં વિરાજિત ભગવાન રિદ્ધિ- સિદ્ધિના સ્વામી સમસ્ત પરિવાર સાથે ગણપતિ સિદ્ધિવિનાયક દાદાનું દિવ્ય મંદિર આવેલું છે. આજ રોજ વૈશાખ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ‘‘સર્વ જન હિતાય, સર્વજન સુખાય’’ નાં કલ્યાણ મંત્રથી ગણેશ કૃપા મેળવવા સહસ્ત્ર મોદક દ્વારા, સહસ્ત્ર પુષ્પો દ્વારા, ગણપતિપ્રિય સહસ્ત્ર દુર્વા દ્વારા અંબાજી મંદિરના પંડિતો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભગવાન ગણેશ સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને જગતજનની માં અંબે સમસ્ત જન સમુદાયની રક્ષા કરે તે માટે અંબાજી મંદિરના પંડિતો દ્વારા માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી.
વિશ્વભરમાં ફેલાયેલ કોરોનાની આ મહામારી સામે આધ્યાત્મિક રીતે રક્ષણ માટે અંબાજી મંદિર દ્વારા તા.૭/૫/૨૦૨૧ થી તા.૧૨/૫/૨૦૨૧ સુધી સાત દિવસ માટે દૈનિક અલગ અલગ વિષ્ણુ યાગ, ગણેશ યાગ, હનુમાન યાગ, મહારુદ્ર યાગ અને સૂર્યયાગ યજ્ઞ આહુતિ આપી સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તથા આ મહામારીના સમય દરમ્યાન મૃત્ય પામેલ વ્યક્તિઓના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તા.૧૩/૪/૨૦૨૧ થી અંબાજી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવેલ છે. ભટ્ટજી મહારાજ દ્વારા રાબેતા મુજબ વિધિ વિધાન અને પૂજન કરવામાં આવી રહ્યાં છે. પવિત્ર ચૈત્રી નવરાત્રીમાં તા.૧૩/૪/૨૦૨૧ થી તા.૨૦/૪/૨૦૨૧ સુધી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી મંદિરના લાઈવ આરતી દર્શનની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવી હતી. જેનો લાખો માઈભક્તોએ ઘરે બેઠા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here