એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-
સરદાર સાહેબની આ વિરાટ પ્રતિમા યુવાપેઢીને એક સૂત્રમાં બાંધીને નવા રાષ્ટ્રના નિર્માણમાં સિંહફાળો આપવા પ્રેરિત કરશે – રમેશ ચંદજી
સરદાર સરોવર ડેમ, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર અને જંગલ સફારી પાર્કની રોમાંચક સફર માણતા નીતિ આયોગના સભ્ય રમેશ ચંદજી
કેન્દ્રિય નીતિ આયોગના સભ્ય રમેશજી ચંદજી તેમના ધર્મ પત્ની સાથે વૈશ્વિક પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની ખાસ મુલાકાતે પધાર્યા હતા. સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટતમ પ્રતિમાને પ્રથમ નજરે જોતાંજ રમેશ ચંદજીએ અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્યતા નિહાળીને ધન્યતા અનુભવી હતી.
રમેશ ચંદજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રસ્થાન કરીને સરદાર સાહેબના પ્રાસંગિક તથા ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતા તસ્વીરી પ્રદર્શન અને શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપરાંત, રમેશજીએ સરદાર સાહેબની પ્રતિમાના હ્રદયસ્થાનેથી વિંધ્યાચલ-સાતપૂડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળીવાનું સૌભાગ્ય મળતા જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી. અહીં એસ.ઓ.યુ.ના ગાઈડ પ્રતાપભાઈ તડવીએ માહિતી પુરી પાડી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂઓલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત રમેશ ચંદજી માટે ખુબ જ રોમાંચક રહી હતી. દેશ-વિદેશના પક્ષી-પ્રાણીઓ સહિત ઇન્ડીયન બર્ડ એવીયરીમાં ડુમખલ પોપટને નિહાળીને તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. ચંદજીએ જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત સહિત વન્ય જીવોના ખોરાક, સુવિધાઓ તેમજ કર્મયોગી દ્વારા લેવામાં આવતી ખાસ કાળજી અંગે ગાઈડ પાસેથી ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ નર્મદા ડેમ સાઈટ અને શૂલપાણેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રમેશ ચંદજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની આ વિશાળ પ્રતિમા એકતાનું પ્રતિક છે, જે દેશવાસીઓ અને ખાસ કરીને યુવાપેઢીને એક સૂત્રમાં બાંધીને નવા રાષ્ટ્રના નિર્માણમાં ફાળો આપવા પ્રેરિત કરશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા રમેશ ચંદજી સાથે નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા અને જિલ્લા આયોજન વિભાગના કર્મચારીઓ જોડાયા હતાં.