કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરના પુષ્ટિમાર્ગીય મંદિરો શ્રી ગોવર્ધનનાથજી હવેલી અને શ્રી રણછોડજી મંદિર ખાતે તેમજ કાલોલ કુંભારવાડા યુવક મંડળ તરફથી શ્રી રોકડનાથ હનુમાનજી મંદિરના પટાંગણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને માતા તુલસીના લગ્ન સમારોહની ઉજવણી વિધિવિધાનથી અને રંગેચંગે કરવામાં આવી હતી.
શ્રી ગોવર્ધનનાથજી હવેલી અને શ્રી રણછોડજી મંદિર ખાતે પારંપરિક રીત રિવાજોથી તુલસી લગ્ન સંપન્ન થયા હતા જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવ સમાજે દર્શન અને કન્યાદાનનો લાભ લીધો હતો.
પાછલા એક દાયકા જેટલા સમયથી કાલોલ કુંભારવાડા યુવક મંડળ દ્વારા આસ્થા સભર રીતે ઉજવાતો તુલસી લગ્ન માંગલ્યનો ઉત્સવ ચાલુ વર્ષે પણ ભક્તજનો માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતો. યુવક મંડળ દ્વારા આયોજિત લગ્ન માંગલ્ય પ્રસંગે મોસાળું અને શોભાયાત્રા જેવી લૌકિક ઉજવણીઓમાં ભકતજનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. શરણાઈના સૂર અને ડી જે ના તાલ સાથે નીકળેલ શોભાયાત્રા કાલોલ પરવડી બજાર, ગોહ્યા બજાર, અને બસ સ્ટેન્ડ થઈ નવપુરાનાં માર્ગે લગ્ન સ્થળે પહોંચી હતી. આ પ્રસંગે હજારો ભાવિક ભક્તોએ વારઘોડિયા તરીકે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. મંડળ આયોજિત આ ઉજવણીમાં વર પક્ષે રેખાબેન તથા ભરતભાઈ રમણભાઈ પટેલ તેમજ કન્યા પક્ષે હેતલબેન તથા પ્રતીકકુમાર શંકરભાઈ ભોઈના પરિજનોએ મુખ્ય મનોરથી તરીકે સેવાઓ આપી હતી. તમામ માંગલિક સ્થળોએ ભગવાન શ્રી કૃષ્ણ અને તુલસીજીના લગ્ન મોડી રાત્રે સંપન્ન થયા હતા.