કાલોલના કૃપાલુ સમાધિ મંદિર, મલાવ ખાતે ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કૃષિ મહોત્સવ -૨૦૨૩ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાના ખેડૂતોને વૈજ્ઞાનિક દ્વારા અધતન કૃષિ અંગે પરિસંવાદ યોજવામાં આવ્યો અને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કરવામાં આવ્યું

નાગરિક લાભાર્થીઓને સરકારશ્રીના વિભાગો હેઠળની વિવિધ યોજના હેઠળ લાભ આપવા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ લગાવીને સરકારશ્રીની યોજનાઓ અંગે પ્રદર્શન યોજાયું

વર્ષ ૨૦૦૫ થી તાત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતો આધુનિક ખેતી કરી પગભર બને તેવા ઉમદા આશયથી કૃષિ મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી હતી.જેના સારા પરિણામો થકી ખેડૂતો નવીન ટેકનોલોજી તથા આધુનિક અભિગમ અપનાવતા થયા છે જેના કારણે રાજ્યના કૃષિ ઉત્પાદનમાં વ્યાપક વધારો થયેલ છે.

રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૩ રાજ્યના તમામ તાલુકામાં ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જે બાબતે આજ રોજ કાલોલ તાલુકાના કૃપાલુ સમાધિ મંદિર, મલાવ ખાતે રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા શ્રી અન્ન મિલેટ , આધુનિક ખેત પદ્ધતિઓ, બિયારણો અંગે જાણકારી આપી હતી તેમજ અધિકારીશ્રીઓ દ્વારા ખેતીવાડી ખાતાની યોજના , સહકાર વિભાગના ૨૦ મુદ્દા કાર્યક્રમ વગેરેની માહિતી આપવામાં આવી હતી. ખેડૂત ખાતેદાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અને FPO પ્રતિનિધિ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ફતેસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતુ તેમજ મિલેટ પાકોની ખેતી કરી રોજીંદા વપરાશમાં લેવા માટે સૂચન કર્યું હતું. રાસાયણિક ખાતરો અને દવા થી થતા રોગો થી બચવા તેનો ઉપયોગ ઘટાડી પ્રાકૃતિક ઢબે ખેતી કરી તંદુરસ્ત રહેવા જણાવ્યું હતું.

આ કૃષિ મહોત્સવમાં સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ), વડોદરા વિભાગ દ્વારા ખેડૂતોને મોડલ ફાર્મ ની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિના આયમો વિશે જાણી તેનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી તેમજ કૃષિ પ્રદર્શનના સ્ટોલની મુલાકાત લઈ નવીન પદ્ધતિથી અવગત થવા જણાવ્યું હતું.

રવિ કૃષિ મહોત્સવ સાથે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિભાગના ૧૫ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા અને લોકો ને સ્થળ પર જ લાભ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામકશ્રી ડી ડી સોલંકી દ્વારા શાબ્દિક સ્વાગત તથા વિસ્તરણ અધિકારી ડી વી ચૌધરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંયુક્ત ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) એમ એમ પટેલ લાઇઝન અધિકારીશ્રી એ આર સોનારા, નાયબ ખેતી નિયામકશ્રી સમિત પટેલ, નોડલ અધિકારી ડી ડી સોલંકી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કૃષિ અને વિવિધ વિભાગના અધિકારી કર્મચારી તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here