કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
સરકારી દુકાનદાર ને કોરોના પોઝીટીવ આવવાથી અનાજ લઈ જનાર ગ્રાહકો સહિત સરકારી દુકાનદારોમાં ફફડાટ
કાલોલ શહેરમાં રવિવારે મોડી સાંજે કોરોના વિસ્ફોટના ધોરણે એક પછી એક સાથે કાલોલ શહેરમાં ૪ અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧ કોરોના કેસ મળી કુલ પાંચ કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા શહેરમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જે પાંચ કોરોના પ્રભાવિત પૈકી હાઉસીંગ સોસાયટીમાં અઠવાડિયા અગાઉ જ પોઝીટીવ બનેલા જયંતિભાઈ શાહના પરિવારજનોને તંત્રએ કરેલા હોમ કવેરોન્ટાઈન દરમિયાન પરિવારજનોના લીધેલા સેમ્પલો મુજબ તેમની પત્ની કોકિલાબેન જયંતિભાઈ શાહ(ઉ.વ. ૭૯) અને તેમના પુત્ર બંકીમચંદ્ર જયંતિલાલ શાહ(ઉ.વ ૫૩) માતા-પુત્રનો સેમ્પલનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા એક જ પરિવારના ત્રણ સભ્યો કોરોનામાં સપડાયા હતા, આ સાથે કાલોલ નગરની હાઉસિંગ સોસાયટીમાં ફક્ત બે પરિવારોના જ છ સભ્યો પોઝિટિવ બનતા હાઉસિંગ સોસાયટીમાં ખળભળાટ મચ્યો હતો. તદ્ઉપરાંત મોડી સાંજે કાલોલ નગરના પુરાણી ફળીયામાં પુષ્પવદન હરિશંકર પુરાણી(ગોર મહારાજ ) (ઉ.વ ૭૨)ની પણ નાદુરસ્ત તબિયતને પગલે તેઓ કોરોના સંક્રમિત જાહેર થતાં તેમને કોરોના સારવાર અર્થે ગોધરા સ્થિત કોરોના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે કાલોલ શહેરના ગાંધી ફળીયા વિસ્તારના સરકારી દુકાનદાર ભીખાભાઇ પરસોત્તમદાસ પરીખ (ઉ.વ.૪૩) નામના સસ્તા અનાજની સરકારી દુકાનના સંચાલકનો પણ રિપોર્ટ માંડી સાંજે કોરોના પોઝીટીવ જાહેર થવાને પગલે તેમની સસ્તા અનાજની દુકાન પર સંપર્ક ધરાવતા ગ્રાહકો અને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તદ્ઉપરાંત ગ્રાહકોમાં ચાલુ માસ અંતર્ગત આગામી સમયમાં સસ્તા અનાજના વિતરણ વ્યવસ્થા અંગે પણ સવાલ ઉભો થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સાંજે તાલુકાના અડાદરા ગામમાં ગોવિંદલાલ મનસુખલાલ શાહ(ઉ.વ ૭૩) અને તાલુકાના જેતપુર ગામના રાજેશકુમાર રણછોડભાઈ પરમાર(ઉ.વ. ૨૮)નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમ કાલોલ શહેર અને તાલુકામાં રવિવારે કોરોના વિસ્ફોટ થતાં એક જ દિવસમાં છ જેટલા પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા તંત્ર અને લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે કાલોલ તાલુકા વિસ્તારમાં કુલ કોરોના વધીને ૪૨ કેસો પૈકી એકલા કાલોલ શહેરમાં વધીને ૨૬ કેસો નોંધાયા હતા.