કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના અડાદરા ગામમાં સ્થાનિક એક વેપારીનો રિપોર્ટ પોઝીટીવ હોવાને પગલે અડાદરામાં પહેલો કેસ પ્રકાશમાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. અડાદરા સ્થિત હાઈસ્કૂલની બાજુમાં રહેતા ૭૩ વર્ષિય વેપારી નામે ગોવિંદલાલ મનસુખલાલ શાહની પાછલા અઠવાડિયે તબિયત નાદુરસ્ત બનતા તેમની પરિણીત પુત્રી સાથે હાલોલમાં રહીને હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા હતા, પરંતુ તબિયતમાં સુધારો નહીં થતાં તેમને વધુ સારવાર અર્થે વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં શનિવારે તેમની સારવાર અગાઉ લીધેલો કોરોના સેમ્પલનો રિપોર્ટ રવિવારે સાંજે પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તંત્રને મળી હતી. જેને પગલે સંભવિત રીતે ખાનગી હોસ્પિટલમાં જ કોરોના સારવાર અર્થે રાખવામાં આવ્યા હતા. આધેડ વેપારી આમ તો બિમારીને પગલે સારવાર અર્થે હાલોલ ખાતે સારવાર લેતા હતા. તેમ છતાં તકેદારીના ભાગ રૂપે તંત્ર દ્વારા અડાદરા ખાતે નજીકના સંબંધીઓ અને વિસ્તારમાં સર્વે કરવાની તજવીજ હાથ ધરી હતી.
આ સાથે કાલોલ તાલુકા વિસ્તારમાં કુલ કોરોના વધીને ૩૭ કેસો પૈકી ૪ મોત, ૨૧ કેસો ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા હતા, જ્યારે હાલમાં ૧૨ જેટલા પ્રભાવિત દર્દીઓ કોરોના સારવાર હેઠળ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.