કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા
કાલોલ શહેરમાં વધતા જતા કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે કેટલાક જાગૃત નાગરિકો અને વેપારીઓએ પાછલા શુક્રવારથી પોતાની દુકાનો સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધીના મર્યાદિત સમય સુધી ખુલ્લી રાખી સાંજે ચાર વાગ્યા પછી સ્વૈચ્છીક બંધનું એલાન આપ્યું હતું. પરંતુ અકબર અને બિરબલની વાર્તાની જેમ બધા હોજમાં દુધ રેડી જશે અને પોતે એક પોતે એક લોટો પાણી ઠાલવી જશે તો કોઈને શું ખબર પડશે એ રીતે સવારે આખો હોજ પાણીથી જ ભરેલો જોવા મળ્યો હતો એ રીતે કાલોલ બજારમાં પણ બધા પોતાની દુકાનો બંધ રાખશે અને આપણે દુકાન ખોલીને કમાઈ લેવાની મતલબી ધારણાએ પાછલા બે દિવસથી બજારમાં મોટાભાગની દુકાનો ચાર વાગ્યા પછી માંડી સાંજ સુધી ખુલ્લી જોવા મળતી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેરમાં કોરોના બેકાબુ બનતા કુલ કેસો વધીને થયા છે, જેમાં અનેક દુકાનદારો અને વેપારીઓ પણ કોરોના પ્રભાવિત બનેલા છે, તેમ છતાં પણ મર્યાદિત સમય માટે પણ મોટા ભાગની દુકાન-ગલ્લા અને લારીઓ ધરાવતા વેપારીઓ એકબીજાને ખો આપીને પોતાના ધંધા રોજગારની દુકાનો ખુલ્લી રાખી સ્વૈચ્છીક બંધની ઐસી કી તૈસી કરી નાંખી હતી. જેથી જેમ ‘લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે’ એ કહેવત મુજબ શહેરના લોભીયા વેપારીઓએ કોરોના ભુખે ના મરે એ સમાન સ્વૈચ્છિક બંધ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના ધારાધોરણોને પણ ધજાગરા ઉડાવી સંક્રમણને આમંત્રણ આપતા હોય એવી બેદરકારીના દ્રશ્યો પણ સરેઆમ જોવા મળી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મર્યાદિત સમયના સ્વૈચ્છિક બંધ અંગે તંત્ર બંધાયેલુ નથી (એવો કોઈ નિયમ નથી), પાલિકાતંત્રને કોઈ પડી નથી તો એકલા વેપારીઓ શું કામ સહન કરે એવા મતમતાંતર વચ્ચે ઓછા નામે સોશ્યિલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્કના અમલ અંગે તંત્ર જાગૃત બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે.