4 વર્ષ પૂર્વે શરૂ કરાયેલા પૂલ ઉપર એક એક દોઢ-દોઢ ફુટ ઉંડા ખાડા પડી ગયા !
પુલના સ્લેબમાંથી સળિયા પણ બહાર આવ્યા ! વાહન ચાલકો ત્રાહિમામ ભારે હાલાકી
રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ગામમાથી પસાર થતા અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતાં સ્ટેટ હાઈવેના માર્ગ ઉપર દેડિયાપાડા ખાતેની ધામણ ખાડી ઉપર બનાવવામાં આવેલ પુલ અત્યંત ખખડધજ હાલતમાં ફેરવાઈ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ પુલની બાજુમાં જ આવેલો પુલ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
દેડિયાપાડામાં આવેલી ધામણ ખાડી ઉપર બ્રીજ બનાવ્યાને હજી ચાર જ વર્ષ જેટલો જ સમય વિત્યો છે ત્યાં તો બ્રીજમાં મોટા ગાબડાં પડી ગયા છે. એક-એક દોઢ-દોઢ ફુટ ઉંડા ખાડાઓમાંથી પોતાના વાહનો કઈ રીતે પસાર કરવા જે વાહન ચાલકો માટે શીરદૃરદ બન્યુ છે. વરસાદને પગલે રોડ ધોવાઈ જતાં ખાડા અને કિચ્ચડે સામ્રાજ્ય જમાવ્યું છે. આ રસ્તો અંકલેશ્વર તરફથી મહારાષ્ટ્ર તરફનો મુખ્ય ધોરી માર્ગ હોવાથી વાહનોની અવર જવર પણ ભારે રહેતી હોય છે. તેમ છતાં તંત્ર દ્વારા બ્રીજ ઉપર કોઈપણ પ્રકારનું સમારકામ નહીં કરવામાં આવતાં હવે તો બ્રીજના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે!
આ બ્રીજની બાજુમાં આવેલ બ્રીજ નબળો પડી ગયો હોવાથી તેને સદંતર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના પગલે વાહન ચાલકોની હાલત કફોડી બની ગઇ છે.
દેડિયાપાડાથી તેમજ સાગબારા તાલુકાના મથકો તરફથી રાજપીપળા તરફ જિલ્લા મથકે જવાનો બ્રીજ પણ ખખડધજ હાલતમાં દેડિયાપાડામાં જ માર્ગ ઉપર પારસી ટેકરા પાસે આવેલ નાનુ પૂલિયુ પણ ખુબ જ ખરાબ હાલતમાં છે. વર્ષો જૂના આ પૂલિયાને સ્થાને જો નવો બ્રીજ બનાવવામાં આવે તો મોટાભાગની સમસ્યાનો હલ થઈ જાય તેમ છે. આ સાંકડા પૂલિયાની બન્ને સાઈડ ઉપર કોઇ પણ પ્રકારની રેલિંગ નહીં મુકાતાં અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે.