ગોધરા(પંચમહાલ)
ઇસ્હાક રાંટા
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેન્દ્ર એલ. નલવાયા (જી.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ અધિકારની રૂએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ જિલ્લાના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કરી નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. હાલોલ નગરપાલિકાના જ્યોતિનગરના ૯ મકાનોના ૧૨ની વસતી, જવાહરનગરના ૧૨ મકાનોના ૪૭ની વસ્તી, ધારાનગરના ૦૬ મકાનોના ૧૮ની વસ્તી, સ્ટેશનરોડ વિસ્તારના ગોકુળધામના ૦૬ મકાનોના ૧૯ની વસ્તી, બારોટ ફળીયાના ૦૫ મકાનોના ૨૩ની વસ્તી, વૈશાલી-બી સોસાયટીના ૦૯ મકાનોના ૨૨ની વસ્તી, હાલોલ તાલુકાના કણજરી ગામમાં સમાવિષ્ટ કાછીયાવાડના ૫ મકાનોના ૨૮ની વસ્તી અને શહેરા તાલુકાના ધમાઈ ગામમાં ટેકરાવાળું ફળિયુંના ૪ મકાનોના ૦૮ની વસ્તી તેમજ શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ સ્વામિનારાયણ મંદિરના ૦૯ મકાનોના ૪૩ની વસ્તી ધરાવતા વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. જાહેરનામા અનુસાર, કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.