તાજપુરાના નારાયણધામ ખાતે ૭મી ઓગસ્ટે સવારે ૧૦.૦૦ કલાકે થનાર ઉજવણી
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કરાઈ રહેલી પૂર્વતૈયારીઓ
માહિતી બ્યુરો, ગોધરા
પંચમહાલ જિલ્લામાં ૭૧મા વનમહોત્સવનો ઉજવણી કાર્યક્રમ નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રીશ્રી યોગેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાજપુરાના નારાયણધામ ખાતે આગામી ૦૭મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ યોજાશે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન શ્રી કુશળસિંહ પઢેરિયા હાલોલ તાલુકાના નારાયણધામ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે રહેશે. આ ઉપરાંત, અતિથી વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, પંચમહાલના સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, છોટાઉદેપુરના સાંસદશ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય સર્વશ્રી સી.કે.રાઉલજી, શ્રીજેઠાભાઈ આહિર, સુશ્રી સુમનબેન ચૌહાણ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આર.કે. સુગૂર (આઈ.એફ.એસ.)ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ કાર્યક્રમની કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સોશિયલ ડિસ્ન્ટન્સિંગનું ચુસ્ત પાલન થાય તે બાબતને નજર સમક્ષ રાખીને કાર્યક્રમની પૂર્વતૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારશ્રી એ.જે.શાહ, નાયબ વન સંરક્ષકશ્રી એમ.એલ.મીના (આઈ.એફ.એસ.) તેમજ નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ) એ.એસ.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને રાખીને છોડવા રોપવા સહિતના ઉજવણી કાર્યક્રમોમાં ફરજિયાતપણે માસ્ક પહેરવા અને એકબીજાથી સલામત અંતર જાળવવા તેમજ સંપર્ક ટાળવા સહિતની કાળીઓ લેવા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આગ્રહભરી વિનંતિ કરી હતી.