સિદ્ધપુર, (પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
પાલિકા અધ્યક્ષા કૃપાબેન આચાર્ય એ મહિલાઓની રજુઆત સાંભળી યોગ્ય કરવા હૈયાધારણા આપી..
આક્રોશિત મહિલાઓએ અધ્યક્ષા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા,માટલું ફોડી,થાળીઓ વગાડી વિરોધ નોંધાવી શુદ્ધ પાણી આપવા ઉગ્ર રજુઆત કરી..
મામલો વધુ વણશે નહિ તે માટે સ્થાનિક પોલીસે મોરચો સંભાળ્યો…
સિધ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં માનવ અંગો મળ્યા હતા તે પાઈપો ચોખ્ખી કરાઈ હોવાના દાવા છતાંય હજુ ગંદુ પાણી આવી રહ્યું છે જેને વપરાશમાં લેવા અંગે નગરજનોમાં વ્યાપેલા ડર ના માહોલ સાથે વોર્ડ નંબર પાંચની મહિલાઓ સહિત અન્ય વિસ્તારની મહિલા ઓએ પાલિકા ઓફીસ ઉધડતાની સાથે સાગમટે એકઠી બની ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો. એકત્રિત મહિલાઓએ પાલિકા અધ્યક્ષા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી જે વિસ્તાર ની પાઈપલાઈનમાંથી મૃતક યુવતીના અવશેષો મળ્યા છે તે તમામ પાઇપલાઇન બદલવાની માંગ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. એકત્રિત થયેલી મહિલા ઓએ નગરપાલિકા દ્વારા બરાબર કામગીરી નહી કરવામાં આવી ન હોવાનું જણાવ્યું હતું.વોર્ડ નંબર પાંચમાં પાઈપલાઈન માં મૃતક લવીના ના અંગો મળ્યા બાદ નગરપાલિકા દ્વારા પાઈપોમાં કેમીકલ વાળુ પાણી છોડીને કલીન કરાયાના દાવા અને પાણી ના સેમ્પલના ટેસ્ટમાં પાણી પીવાલાયક હોવાના દાવા નો મહિલાઓએ ધડમૂળથી ઉખેડી નાખ્યો હતો. પાલિકાતંત્ર દ્વારા આજેય એજ ડહોળુ અને વાસ મારતુ ગંદુ પાણી સપ્લાય થતાં આ વિસ્તારની મહીલાઓની ધીરજ જવાબ દઈ દેતાં નારી શકિતએ કુભકર્ણની નિંદ્રામાં રહેલા તંત્રને જગાડવા અને મહીલા શકિતની તાકાતનો પરચો બતાવવા નગરપાલિકા કચેરીએ જોરદાર હલ્લા બોલ કર્યો હતો.શુધ્ધ પાણી માટે નકકર કામગીરીની માંગ કરી નગરપાલિકા લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરતી હોવાના આરોપ સાથે મહીલાઓએ પ્રમુખ અને ચીફઓફિસર સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.આ અગાઉ ગત રાત્રી સમયે મોટીસંખ્યામાં યુવાનો અને મહીલાઓ મંડીબજાર ચોક માં એકઠા થયા હતા અને તંત્ર તેમજ નેતાઓ આ ગંભીર પ્રશ્ન બાબતે તાકીદ ના પગલાં લે તેવું નહી લાગતા સવારે નગરપાલિકા કચેરીએ મોરચો લઈ જવા ની રણનિતી બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. તે રણનીતિની ભાગરૂપે આજે મહીલાઓ અને યુવાનોએ નગરપાલિકામાં થાળીઓ વગાડી તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે.તદઉપરાંત આ વિસ્તાર ના રહીશો કેબીનેટ મંત્રી એવા સ્થાનિક ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતને પણ મળીને આ પ્રશ્ન અંગે સત્વરે યોગ્ય કાર્યવાહી કરાવવા રજુઆત કરવાના હોવાનું જાણવા મળેલ છે. આ અંગે નગરપાલિકા અધ્યક્ષા કૃપાબેન આચાર્ય એ મોરચો લઈને આવેલી બહેનોને પાણીના પ્રશ્ર્નનો જલ્દી ઉકેલ લાવી પાઈપો બદલવા બાબતે ઉપલા લેવલે આ અંગેની રજૂઆત કરાશે તેવી હૈયાધારણાં આપી હતી.
…………………………………
વોટર વર્ક્સના ચેરમેન પદે થી કૈયુમખાન પોલાદીએ રાજીનામુ આપ્યું…
એકતામાં અનોખી તાકાત હોય છે…અંતે,વોટર વર્ક્સ કમિટીના ચેરમેનને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. આજરોજ પાલિકામાં ગંદા પાણી મુદ્દે તેમજ તમામ પાઈપલાઈન બદલવા મુદ્દે થયેલ હલ્લાબોલ બાદ મહિલાઓ સહિત એકત્રિત થયેલા લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી હતી કે પાણીની ઓવરહેડ ટાંકી વાટે મૃત યુવતી ના અવશેષો પાઈપલાઈનમાંથી મળી આવતા આવું ગંદુ પાણી ઉપયોગમાં લેવા લોકો મજબુર બન્યા હતા.તેમાં વોટર વર્ક્સ કમિટીના ચેરમેનની લાપરવાહી ઉડીને આંખે આવી હતી, આથી કમિટી ચેરમેન રાજીનામુ આપે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. આથી લોકમાંગણીને ધ્યાને રાખી વોટર વર્ક્સ કમિટીના ચેરમેનપદેથી કૈયુમખાન પોલાદી (બાદશાહ) એ સ્વૈચ્છિક રાજીનામુ પાલિકા અધ્યક્ષા કૃપાબેન આચાર્ય ને સોંપ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિનામાં પાલિકાની સમગ્ર વહીવટી બોડીમાં ફેરબદલ થવાનો છે ત્યાં આ રાજીનામાની અસર આગામી સમયે કેટલી વર્તાય છે તે જોવી રહી.!