સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સમગ્ર ગુજરાતમાં ઉતરાયણએ પતંગોત્સવની પરંપરા ચાલે છે ત્યારે ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે વર્ષોથી શહેરીજનો દશેરાના દિવસે પતંગ ચગાવી અનેરી મજા માણતા હોય છે.જેને લઇ જુના ગંજબજાર વિસ્તાર માં પતંગ દોરીના નાના બાળકો માટે રંગબેરંગી ટોપીઓ ચશ્માઓ,માસ્ક, પીપુડાં,દોરી-પતંગ ના સ્ટોલ લાગી ગયા છે આ અંગે છેલ્લા 10 વર્ષથી પતંગ દોરીનો ધંધો કરતા શંકર ભાઈ પટણીએ જણાવ્યું કે આ વર્ષે પતંગ રસિયા ઓએ પતંગ અને દોરીની ખરીદી શરૂ કરી દીધી છે ત્યારે શુક્રવારે દશેરાના દિવસે સિદ્ધપુરનું આકાશ રંગબેરંગી પતંગો છવાઈ જશે અને “કાઈપો છે… કાઈપો છે” … ના નાદથી સમગ્ર માહોલ ગુંજી ઊઠે છે.આમ,દશેરા ના દિવસે શહેરીજનો પતંગ ના પેચ લગાવવાની સાથોસાથ ફાફડા,જલેબીની પણ મોજ માણી ડબલ ઉજવણી કરતા હોય છે.
દશેરાના દિવસે પતંગ ચગાવવાની લોકવાયકા પ્રમાણે ઐતિહાસિક રુદ્રમહાલયનાં શિલ્પી ગુર્જર નરેશ રાજા મૂળરાજ સોલંકીનું અવસાન ઉત્તરાયણ ના દિવસે થયું હતું જેથી ઉત્તરાયણના દિવસે શહેરીજનો રાજાના માન માં દાન પુણ્ય કરી ઉત્તરાયણનો ઉત્સવ સાદગી થી મનાવે છે જ્યારે દશેરાના દિવસે શ્રી રામે રાવણ ઉપર વિજય મેળવી અસત્ય ઉપર સત્યના વિજય ને મનાવવા તેમજ માં ભગવતીએ મહિષાસુર નો વધ કર્યો હતો તેની ઉજવણી રૂપે સિદ્ધપુરમાં પતંગ ચગાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.