સિધ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-
સિદ્ધપુરમાં વાલેશ્વર મહાદેવના મંદિર સામેના રસ્તાની સાઈડમાં સરસ્વતી નદીના પટ નજીક એક અજાણી મહિલાની લાશ બિનવારસી હાલતમાં મળતા ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાની જાણ થતાં સિદ્ધપુર મામલતદાર સહિત સિદ્ધપુર પીઆઈ સહિત 108 ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.
આજરોજ બપોરે અઢી વાગ્યાના સુમારે સિદ્ધપુરના ઉક્ત સ્થળે એક મૃત મહિલાની લાશ પડી હોવાની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ અંગે પ્રત્યક્ષદર્શી ચેતનભાઈ બાપજીએ સિદ્ધપુર પોલીસ અને ઇમરજન્સી 108 ને જાણ કરી હતી.આ ઘટનાની જાણ થતાં સિદ્ધપુર મામલતદાર તેમજ પીઆઈ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો.108 એ ઘટનાસ્થળે આવી તપાસ કરતા મહિલા મૃત હોવાનું જાહેર કર્યું હતું. આશરે 40 વર્ષીય મૃતક મહિલાને ડાબા પગે તેમજ મોંઢાના ભાગે ઈજાઓ થઈ હોવાના નિશાન જોવા મળ્યા હતા.આ મહિલાએ પીળા કલરની સાડી,કાળા કલરનો ચણીયો અને મિક્સ કલરનું ચોકડીવાળો બ્લાઉઝ પહેરેલો છે.આ મહિલાની લાશને આજે બપોર બાદ અહીં કોઈ નાંખી ગયું હોવાની આશંકા ઓ સેવાઈ રહી છે. પોલીસે ઘટનાસ્થળે સિદ્ધપુર મામલતદારની હાજરીમાં આ મહિલાની લાશનું પંચનામું કરી સિદ્ધપુર મુક્તિધામની મુક્તિવાહીની દ્વારા મૃતકની લાશને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી.સિદ્ધપુર પોલીસે આ અંગે એ.ડી. નોંધી અજાણી મૃતક મહિલાની લાશ અહીંયા કેવી રીતે આવી તે દિશામાં તપાસ આદરી છે ઉપરાંત મૃતકના પરિવારજનોની શોધખોળ પણ શરૂ કરી છે.