સરદાર પટેની જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન મોદીનાં આગમન પૂર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તડામાર તૈયારીઓમાં તંત્ર જોતરાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સરદારના સાનિધ્યમાં રેવાના તીરે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ શરૂ : પ્રાથમિક બેઠકોનો દોર શરૂ

એકતા નગર ખાતે અધિક મુખ્યસચિવ ગૃહવિભાગના મુકેશપુરી દ્વારા વિવિધ સમિતિઓની સમીક્ષા બેઠક યોજી રીવ્યુ કરવામાં આવ્યો

રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૩ ની ઉજવણી સંદર્ભે ૧૬ જેટલી કેન્દ્રીય-સ્ટેટ-ડિસ્ટ્રીક્ટ લેવલની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, સંબંધિત સમિતિઓએ કાર્યઆરંભ કરી કામે લાગી

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે રાષ્ટ્રીય કક્ષાના એકતા દિવસે આગામી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના હોય ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરદાર પટેલની જન્મજયંતિએ રાષ્ટ્રીય પરેડની ઉજવણી સંદર્ભમાં ગઈકાલે સાંજે SSNNL સર્કિટ હાઉસ-એકતાનગર ખાતે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીની અધ્યક્ષતામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના સી.ઈ.ઓ. ઉદિત અગ્રવાલ, જિલ્લા વહિવટી તંત્રના વડા અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ સમિતિઓને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે અને સુચારૂ આયોજન અમલવારી અંગે પ્રાથમિક રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકને સંબોધતા અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગના મુકેશપુરીએ જણાવ્યું હતું કે, આ ઉજવણી એક દિવસ પૂરતી ન સમજી વિશ્વની આઈકોનિક જગ્યા ગણીને લાંબા ગાળા સુધી અહીં આવતા પ્રવાસીઓ માટે યાદગાર બની રહે. તમામ સહભાગી થનાર લોકોમાં અમિટ છાપ મેમરી કાયમ રહે તે માટે યાદગાર અને શાનદાર રીતે ઉજવણી થાય તે અંગે સર્વગ્રાહી બાબતોને ધ્યાને રાખીને સૌએ કામ કરવાનું છે. અહીં આવેલા મહેમાનો પ્રવાસીઓ લોકો રાજી થઈને જાય તે માટે રહેવા જમવા જોવાની-ફરવાની સુવિધા સ્વચ્છતા સહિતની નાની મોટી બાબતોનું ધ્યાન રાખવા અનુરોધ કર્યો હતો. અહીં આવતા પ્રવાસીઓ મહેમાનો મહાનુભાવોને એકતાનગર વારંવાર આવવાનું મન થાય અને દેશ-વિદેશના વિશ્વના લોકોને આવવા માટે પ્રેરિત કરે તે પ્રકારનું આયોજન અને કામગીરી કરવા ઉપર ભાર મૂક્યો હતો. અને એકતા નગરમાં નવી બાબતોનો ઉમેરો થાય તે માટે ખાતમુહૂર્ત-લોકાર્પણ બાબતોની પણ અલગ યાદી બનાવી ધ્યાને મૂકવા જણાવ્યું હતું. રેલવે સ્ટેશનની સાફ-સફાઈ, ટ્રેનની સફાઈ, રોડ રસ્તા, ઈલેક્ટ્રીક વાહનો તથા પ્રવાસીઓને પણ કોઈ તકલીફ ન પડે તે જોવા મિટિંગમાં ચર્ચા કરાઈ હતી.

આ કાર્યક્રમના આયોજન માટે ૧૬ જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જેવી કે, ઓર્ગેનાઈઝિંગ કમિટિ, પરેડ નિદર્શન કમિટિ, કલ્ચરલ પ્રોગ્રામ કમિટિ, આમંત્રણ અને બેઠક વ્યવસ્થા કમિટિ, મીડિયા અને પ્રચાર-પ્રસાર કમિટિ, એકોમોડેશન, સિક્યુરિટી અને ટ્રાન્સપોર્ટેશન કમિટિ, ફૂડ કમિટિ, સાફ-સફાઈ કમિટિ, હેલિપેડ કમિટિ, કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, જિલ્લા કન્ટ્રોલ રૂમ વગેરે જેવી મહત્વની કમિટિઓનો સમાવેશ થાય છે.

આ સમિતિઓની પ્રાથમિક તબક્કાની વન ટુ વન રીવ્યુ અને માઈક્રો પ્લાનિંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને રચનાત્મક સૂચનો અને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા સવારે ૧૧ કલાકે જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓની બેઠક પણ એકતાનગર ખાતે જ યોજવામાં આવી હતી. આ ઉજવણી સુંદર રીતે થાય અને એક ટીમ નર્મદા તરીકે સંકલન અને સહકારથી કામ કરવા અનુરોધ કર્યો હતો. અને બહારથી આવેલા અધિકારી-કર્મચારીઓ પણ એક બીજી સમિતિના સંકલનમાં કામ કરે તે જરૂરી છે. અને વખતોવખતની સૂચના અને પ્રોટોકોલ બાબતોને ફોલો કરવા જણાવ્યું હતું.

કાયદો અને વ્યવસ્થાના ગૃહ વિભાગના જોઈન્ટ સેક્રેટરી યોગેશ નીરગુડે દ્વારા ગ્રાઉન્ડ પર સ્ટેજ કમિટિ સાથે નિરીક્ષણ કરીને સંબંધિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન કર્યું હતું. પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટેજ કમિટીનો રીવ્યુ અને સ્થળ વિઝીટ કરીને સંબંધિત ઓર્ગેનાઇઝિંગ એજન્સી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા અંગે ચર્ચા કરી હતી.

સાંજે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, વિવિધ સ્ટેટ અને ડિસ્ટ્રીક્ટ કમિટિના સભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here