ગોધરા, (પંચમહાલ) ડો.અપૂર્વ પાઠક :-
આગામી ૨૭ ઓકટોબરના રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા તથા ૨૮ ઓકટોબરના વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ.પ્રતાપસિંહ ચૌહાણના દિશાનિર્દેશ અનુસાર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ “સ્પન્દન-ર૦ર૩” તા ૨૭-૨૮ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ યુનિવર્સિટીના પટાંગણમાં યોજાઇ રહ્યો છે. જેનો ઉદ્ઘાટન સમારોહ તા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૩ને શુક્રવારે સવારે ૧૦:૦૦ વાગે સંસદીય બાબતો, પ્રાથમિક – માધ્યમિક અને પ્રૌઢશિક્ષણ તથા ઉચ્ચશિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી મા.શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને તથા પંચમહાલના સંસદસભ્ય મા.શ્રી રતનસિંહજી રાઠૉડના મુખ્ય મહેમાનપદે તેમજ ગોધરાના ધારાસભ્ય મા.શ્રી સી.કે.રાઉલજી તથા કાલોલના ધારાસભ્ય મા.શ્રી ફતેસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઇ રહ્યો છે.
યુવક મહોત્સવનો સમાપન સમારોહ ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને તા.૨૮/૧૦/૨૦૨૩ને શનિવારે સવારે ૧૧:૩૦ વાગે યોજવામાં આવશે. જેમાં અતિથિવિશેષશ્રી તરીકે મોરવાહડફના ધારાસભ્ય મા.શ્રીમતી નિમિષાબેન સુથાર, છોટાઉદેપુરના ધારાસભ્ય, મા.શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, દાહોદના ધારાસભ્ય મા.શ્રી કનૈયાલાલ કિશોરી અને સંખેડાના ધારાસભ્ય, મા.શ્રી અભેસિંહ તડવીની ખાસ ઉપસ્થિત રહેશે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન તમામ કૉલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનોમાં રહેલ કલા, સાંસ્કૃતિક વારસા અને કૌશલ્યને પ્રોત્સાહિત કરવા તથા રાષ્ટ્રીય કક્ષાએ સાંસ્કૃતિક વારસા અને કૌશલ્યને પ્રતિષ્ઠા મળે તે માટે યુનિવર્સિટીએ યુવક મહોત્સવ “સ્પન્દન –૨૦૨૩ “નું આયોજન કર્યું છે તેમ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલસચિવશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.