રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓએ વિવિધ કલાકૃતિઓ પ્રસ્તુત કરી
તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા મહાનુભાવોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો
નવા ભારતના નિર્માણની દિશામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અંગે શિક્ષણવિદો સહિતના મહાનુભાવો દ્વારા થનાર મનોમંથન શિક્ષણસ્તરને વધુ મજબુત કરશે : મંત્રી ઋષિકેશ પટેલ
લોહ પુરુષ અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટતમ પ્રતિમાના સાનિધ્યમાં અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે આવેલા એકતાનગર સ્થિત ટેન્ટસીટી-૨ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૨૪ ના પ્રિ-ઇવેન્ટના ભાગરૂપે વેસ્ટર્ન ઝોન વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સ “રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦” માં શિક્ષણવિદો અને તજજ્ઞો વચ્ચે થનારા મનોમંથનની પૂર્વ સંધ્યાએ ગુજરાતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર તથા વાઈસ ચાન્સેલર અને રજીસ્ટારો ની ઉપસ્થિતિમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા રંગારંગ સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણના મંત્રી ઋષિકેશભાઈ પટેલે સંપૂર્ણ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો. શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ના અમલીકરણ થકી નવા ભારતના નિર્માણની દિશામાં શિક્ષણવિદો સહિતના તમામ મહાનુભાવો દ્વારા થઈ રહેલા મંથનના આ સકારાત્મક પરિસંવાદ દ્વારા શિક્ષા પ્રણાલી વધુ મજબુત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, આજે ટેક્નોલોજી ક્ષેત્રે ખુબ પ્રગતિ થઈ છે ત્યારે વિચારો, ક્રાંતિ અને નવનિર્માણની આ ૨૧ મી સદીમાં ભારત દેશનું નેતૃત્વ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગવા વિઝનથી કરી રહ્યાં છે, ત્યારે દેશના નવયુવાનો ડિફેન્સ, ઇજનેરી સહિતના ક્ષેત્રોમાં સહભાગીદારી નોંધાવી પોતાની ભૂમિકા અદા કરે તેવા આશય સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ને કેન્દ્રીય કેબિનેટમાં પ્રસ્તાવ કરાયો હતો.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો આશય બાળકો-યુવાનોના જ્ઞાનમાં વધારો કરવા સહિત રોજગાર અને ઉદ્યમીતામાં વધારો કરવાનો છે. રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૦૮ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરુ પાડવા તથા NAAC એક્રેડિશન લઈ અપર્ગેડ કરી શિક્ષાના સ્તરને વધુ મજબુત કરવા મંત્રી ઋષિકેશભાઈ પટેલે માર્ગદર્શિત કર્યા હતા.
વેસ્ટનઝોન વાઇસ ચાન્સેલર કોન્ફરન્સના ઉદઘાટન પૂર્વે આજે સાંજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા દ્વારા યોજાયેલા વાઈબ્રન્ટ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અનેકવિધ કલાકૃતિઓની પ્રસ્તુતિ કરી હતી. તેને ઉપસ્થિત સૌ મહેમાનોએ રસપૂર્વક નિહાળીને યુવાનો દ્વારા એનર્જેટિક પરફોન્સને બિરદાવ્યું હતું.
પ્રારંભમાં સરસ્વતી વંદના, વંદે માતરમ્ દેશભક્તિ ગીત, પદન્યાસ વક્રતુડ, ગાન શિવ ભક્તિ ગાન સહિત ગુજરાતની સાંસ્કૃતિક અને વૈવિધ્યસભર વારસાને જીવંત કરતો ગરબો અને ટિપ્પણી-હુડો નૃત્ય સહિત ભારતીય સંગીત-નૃત્યનાટિકા પ્રસ્તુતી કરી હતી. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રત્યેક કૃતિઓ “એક સે બઢ કર એક” હતી. તેને ઉપસ્થિત મહેમાનોએ તાળીઓથી વધાવી હતી.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમાર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ભારત સરકારના ચેરમેન એમ. જગદેશ કુમાર, ગુજરાતના ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશ્નર બંછાનિધી પાની, ઉચ્ચ શિક્ષણ વિભાગના નિયામક પી.બી.પંડ્યા, કે.સી.જી.ના એડવાઈઝર પ્રો.એ.યુ.પટેલ સહિત વેસ્ટર્ન ઝોનની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરો, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના અધ્યાપકો, કલાકારો અને આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.