પંચમહાલ : રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 પરીક્ષાને લઈ જિલ્લાના પરીક્ષા કેન્દ્ર વિસ્તારોમાં 144મી કલમ લાગુ કરતો જાહેર હુકમ કરાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-03ની જગ્યાઓની ભરતી અંતર્ગત આગામી તા. 07/03/2021ના રવિવારના રોજ પંચમહાલ જિલ્લાના જુદા-જુદા પરીક્ષાકેન્દ્રો ઉપર 11.00 કલાકથી 13.00 કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી.બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ જિલ્લાના પરીક્ષાકેન્દ્રોએ તા. 07/03/2021ના સવારના 10.00 કલાકથી બપોરના 14.00 સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃ્ત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષાના સમગ્ર વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકોએ કોપિયર મશીનોનો ઉપયોગ પરીક્ષાના દિવસે સવારના 09.00 કલાકથી 14.00 કલાક સુધી સદંતર બંધ રાખવાના થશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here