ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-
દેશની બંધારણ સભાએ તારીખ 26મી નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. આ દિવસે બંધારણનો સ્વીકાર કર્યા બાદ તેના બે મહિના પછી એટલે કે તારીખ 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે તારીખ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.26મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવનાને યથાવત રાખવાના હેતુથી શપથ ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે.
પંચમહાલ જિલ્લામાં વિવિધ કચેરીઓ ખાતે કર્મયોગીઓએ બંધારણના એકતા શપથ ગ્રહણ કર્યા હતા.જેમાં જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ શપથ ગ્રહણમાં જોડાયા હતા.ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત સહિત જિલ્લાની અલગ અલગ કચેરીઓ ખાતે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ રાષ્ટ્રભાવનાને યથાવત રાખવાના હેતુથી શપથ ગ્રહણ કાર્યક્રમમાં જોડાયા હતા.