ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા
મોદીની વાડી-1, દેસાઈવાડા અને નાથુજીના મુવાડા, ચામુંડા માતાના મુવાડા (નદીસર), ચૌહાણ ફળિયું (તરખંડા) નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર
પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ 1897ની કલમ-2 અન્વયે મળેલ અધિકારની રૂએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૫ એ હેઠળ જિલ્લાના 5 વિસ્તારોને કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાંથી કોરોના પોઝિટીવ વ્યક્તિઓ મળી આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં રાખીને જે-તે વિસ્તારના અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહીં તે હેતુસર આ વિસ્તારોને કન્ટેઈનમેન્ટ વિસ્તારો જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામા અનુસાર, ગોધરા નગરપાલિકામાં સમાવિષ્ટ મોદીની વાડી-1ના 93 મકાનોના કુલ 311ની વસ્તી અને દેસાઈવાડામાં આવેલ 38 મકાનોમાં રહેતા 82 વ્યક્તિઓની વસ્તી, ગોધરા તાલુકાના નદીસર ગામના ચામુંડા માતાના મુવાડા વિસ્તારના 40 મકાનોની કુલ 251ની વસ્તી તેમજ શહેરા તાલુકાના નાથુજીના મુવાડા ગામના 116 મકાનોના 591 લોકોની વસ્તી અને તરખંડા ગામના ચૌહાણ ફળિયાના 17 મકાનોની 91 વ્યક્તિઓની વસ્તી ધરાવતા વિસ્તારને કોવિડ-19 કન્ટેઈન્મેન્ટ વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51 થી 58 ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.