પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૩ની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

૯મી ઓગષ્ટ,વિશ્વ આદિવાસી દિવસ – ૨૦૨૩, પંચમહાલ જિલ્લો

જિલ્લાના કુલ ૫૮૨ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયની ચૂકવણી કરાશે,૧૪૧ કામોનું ખાતમુહૂર્ત અને ૭૨ કામોનું લોકાર્પણ કરાશે

જિલ્લાના ૧૧,૩૬૬ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય અંતર્ગત ઇ-પેમેન્ટ થકી  રૂ.૧૯૩.૧૦ લાખની સહાય ચૂકવાશે

વિશ્વભરના દેશોમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક,સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક,આરોગ્ય,કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્ય હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી દેશભરમાં દર વર્ષે ૯ ઓગષ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પંચમહાલ જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી આદિજાતિ વિસ્તાર મોરવા હડફના મોરા એ.પી.એમ.સી.ખાતે કરવામાં આવશે.આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામીનીબેન સોલંકી,ધારાસભ્ય શ્રીમતિ નિમિષાબેન સુથાર તથા જિલ્લાના અન્ય પદાધિકારીઓ, આગેવાનો, અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં કાર્યક્રમના સ્થળેથી વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કુલ ૮૩ લાભાર્થીઓને અધિકારપત્રો આપવામાં આવશે. વેલાવાળા મંડપ સહાય યોજનાના કુલ ૨૩૮, સંકલિત ડેરી વિકાસ યોજનાના કુલ ૮૧, મકાન સહાય યોજનાના કુલ ૧૦૫, કુંવરબાઇ મામેરા સહાય યોજનાના કુલ ૪૫ તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા કુલ ૧૮ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન તથા અન્ય ૧ લાભાર્થીને વિનોવીંગ ફેન, ૧ AGR-3, નાયબ પશુપાલન નિયામક તરફથી કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી સહાયના કુલ ૭ લાભાર્થીઓ અને જીટીડીસી નિગમ દ્વારા તબેલા સહાય અંતર્ગત ૧ લાભાર્થીને ચેક અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમના દિવસે કુલ ૫૮૨ લાભાર્થીઓને અલગ-અલગ યોજનાઓનો લાભ આપવામાં આવશે. આ દિવસે કુલ ૧૧,૩૬૬ આદિજાતિ વિદ્યાર્થીઓને ઇ-પેમેન્ટ દ્વારા ખાતામાં રૂ.૧૯૩.૧૦ લાખની પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે.આદિવાસી બાંધવોને વિકાસની અગ્ર હરોળ અંતર્ગત આ દિવસે જિલ્લામાં કુલ ૧૪૧ ખાતમુહૂર્ત તેમજ કુલ ૭૨ કામોનું લોકાર્પણ કરાશે.
આ ઉપરાંત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કમળાનગર મેદાન,ઘોઘંબા ખાતે પણ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહજી પરમાર,શ્રી ફતેસિંહ ચૌહાણ તથા જિલ્લાના અન્ય પદાધિકારીશ્રીઓ,આગેવાનો અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે. આ પ્રસંગે રાજયકક્ષાએથી ચાલતી વિવિધ યોજનાઓના લાભ પણ લાભાર્થીઓને આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here