રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ
ટીડીઓ અને ગામના સરપંચ ખો-ખો ની રમત રમતા હોઈ તેમ માત્ર આશ્વાસન આપતા હોવાના ગ્રામજનોના આક્ષેપ
નાણાંની જોગવાઈ છતાં કોના ઈશારે જાહેર રસ્તો બનાવવામા નથી આવતો..????
નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા વિકાસના નામે કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, કેન્દ્ર સરકારે ગુજરાતના માત્ર બે જ જીલ્લા એસપીરેશનલ જીલ્લા તરીકે જાહેર કરેલ છે જેમાં દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે, આદિવાસી વસ્તી વાળા આ જીલ્લામા વિકાસ માટે ખાસ વધારાની નાણાકીય જોગવાઈ કરવામાં આવે છે, છતાં મુળભુત જરૂરીયાતો સમા રસ્તા ,પાણી, વીજળીની અનેક ફરિયાદો ઉઠી રહી છે. વિકાસ માટે સરકાર અને સરકારી અધિકારીઓ ધ્યાન ન આપી પોત પોતાના રોટલા સેકતા હોઈ એમ પાયાની સુવિધા બાબતે વારંવાર રજૂઆતો બાદ પણ આંખ આડા કાન કરાતાં હોવાનું ચર્ચાસ્પદ બન્યુ છે.
જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળીના વચલા કૃળિયામાં આર.સી.સી.રોડ બનાવવા દસ વર્ષથી રજુઆત કરાઈ હોવા છતાં પણ ખો-ખો ની રમત રમાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉતાવળીના વચલા કૃળિયામાં જાહેર રસ્તો ખુબ બિસ્માર હોય આ માટે ગામ લોકોએ છેલ્લા દસ વર્ષથી આર.સી.સી.રસ્તો બનાવવા માટે માંગણી કરી રહયા છે અને છેલ્લા બે વર્ષથી તો આર.સી. સી રોડ બનાવવા માટેની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે છતાં આ રોડ બાબતે કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી..!!
આ માટે ગામના જાગૃત નાગરિક કપિલભાઈ બારીયાએ ટીડીઓને પણ લેખિત રજુઆત કરી હતી ત્યારે ત્યાંથી પણ માત્ર આશ્વાસન જ મળતું આવ્યું હોય સરપંચ અને ટીડીઓ જાણે ખો-ખો ની રમત ર મી ગ્રામજનોને હેરાન કરતા હોઈ તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. માટે આ ગામનો રોડ ન બનતા ગ્રામજનો ને અવર જવરમાં ભારે મુશ્કેલી પડે છે.
સરપંચ સાથે વાત થઈ છે ટૂંક સમયમાં માર્ગ બનશે : ડી.બી.ચાવડા, ટીડીઓ
આ બાબતે તિલકવાડા ટીડીઓ ડી.બી.ચાવડા સાથે વાત કરતા તેમને જણાવ્યું કે આ માર્ગ બનાવવા સરપંચ સાથે મારે વાત થઈ છે અને આ ચોમાસા પહેલા રસ્તો બની જશે. ચોમાસાની સીઝન સત્તાવાર રીતે 14 મી જુનથી શરૂ થશે ત્યારે શું રસ્તાનુ કામ વરસતા વરસાદમા કરાશે..??