નર્મદા જીલ્લા પ્રભારી સચિવ એસ. જે. હૈદરની ઉપસ્થિતિમાં કોરોનાની પરિસ્થિતિ અંગે વિચાર વિમર્શ આયોજન અર્થે મળેલ બેઠક

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં કોવિડ હોસ્પિટલની પ્રારંભિક ૧૦૦ ની બેડ ક્ષમતા પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે જિલ્લામાં ૪૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ

જરૂરીયાત મુજબ વધુ ૯૦ બેડની સુવિધા ખાનગી દવાખાનાઓમાં ઉપલબ્ધ કરાશે

પ્રારંભિક ૧૫૦ બેડની કોવિડ કેર સેન્ટરની ક્ષમતામાં વધારો કરીને જિલ્લાના તમામ તાલુકા સહિત તમામ CHC સહિતના કેન્દ્રો ખાતે ૧૦૦૦ સુધી લઇ જવાની દિશામાં થયેલી નોંધપાત્ર કામગીરી

રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન-આરોગ્યતંત્રના કોરોના સંક્રમણના જંગ સામેના પ્રયાસોમાં કોવિડ-૧૯ ની તમામ માર્ગદર્શિકાના ચૂસ્તપાલન સાથે પ્રત્યેક નાગરિકને પોતાનો નાગરિક ધર્મ બજાવવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવા જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે.હૈદરનો જાહેર અનુરોધ

રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે ઓક્સીજન પ્લાન્ટની સ્થાપના માટે થયેલી પ્રાથમિક ચર્ચા-વિચારણા : જિલ્લાના દરેક ગામમાં પલ્સ ઓક્સિમીટરની સુવિધા ઉપરાંત સર્વેલન્સ કામગીરી સઘન બનાવવા કરાયો વિચાર-વિમર્શ

નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી તથા કોવિડ-૧૯ માટે નર્મદા જિલ્લાની વિશેષ જવાબદારી સંભાળી રહેલા શ્રી એસ.જે. હૈદરે વૈશ્વિક કોરોના મહામારી સંદર્ભે નર્મદા જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા માટે જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ. શાહ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એલ.એમ. ડિંડોર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.પી. પટેલ, સિવિલ સર્જન ડૉ.જયોતિબેન ગુપ્તા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિપુલ ગામિત, એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ સહિત જિલ્લા આરોગ્યતંત્રના વરિષ્ઠ તબીબી અધિકારીશ્રીઓ સાથે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા સહિત સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. અને જિલ્લા પ્રશાસનને જરૂરી સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ.

જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા શ્રી હૈદરે જણાવ્યું હતું કે, રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતેની કોવિડ-૧૯ હોસ્પિટલની ૧૦૦ બેડની ક્ષમતાને પાંચ ગણી કરવાના દ્રઢ નિર્ધાર સંદર્ભે રાજપીપલાની આયુર્વેદિક હોસ્પિટલ ખાતે હાલમાં વધુ ૧૦૦ બેડની ક્ષમતા સાથે ૨૦૦ બેડ, જિલ્લાના ચાર સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૦૦ બેડ, ૪ ખાનગી હોસ્પિટલો ખાતે ૧૧૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે જરૂરીયાત મુજબ વધુ ૯૦ બેડની સુવિધા ખાનગી હોસ્પિટલો ખાતે ઉભી કરવાની કાર્યવાહી પણ હાલ પ્રગતિ હેઠળ હોવાનું શ્રી હૈદરે ઉમેર્યું હતું. તેવી જ રીતે જિલ્લામાં શરૂઆતની કોવિડ કેર સેન્ટરની ૧૫૦ બેડની ક્ષમતા વધારીને ૧ હજારની કરવાના લક્ષ સાથે જિલ્લામાં ૯ કેન્દ્રોમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયાં છે દરેક તાલુકામાં ૫૦ બેડની ક્ષમતા-સુવિધા ઉપલબ્ધ છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જે તે તાલુકા વિસ્તારના હળવા લક્ષણો વાળા દરદીઓ ( માઇલ્ડ કેસીસ કિસ્સા ) ને જે તે તાલુકામાં જ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.

જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે બેઠકને સંબોધતા પ્રવર્તમાન પરિસ્થિતિને કોરોના સંક્રમણ સામેના જંગમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી તરફથી વહિવટી-આરોગ્યતંત્રને સતત ઉપયોગી સુચનો અને માર્ગદર્શન મળી રહ્યાં છે અને તે દિશામાં ફળદાયી પરિણામો પણ મળી રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકાર, જિલ્લા પ્રશાસન અને જિલ્લા આરોગ્યતંત્રના કોરોના સંક્રમણ સામેના જંગના પ્રયાસોમાં પ્રત્યેક નાગરિકે પણ અવશ્ય માસ્ક પહેરવાં, વારંવાર સાબુથી હાથ ધોવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાં સહિતની કોવિડ-૧૯ ની તમામ પ્રકારની માર્ગદર્શિકાના ચુસ્તપાલન સાથે પોતાનો નાગરિક ધર્મ બજાવવાની સાથોસાથ પોતાના પરિવાર અને સમાજ માટેનું ઉત્તરદાયિત્વ નિભાવવાં તેમજ વેક્સીનેશનની ઝૂંબેશમાં પણ પૂરતો સહયોગ આપી પોતે રસીના રક્ષા ક્વચ સાથે સુરક્ષિત થઇ પોતાના સંપર્કમાં આવતાં અન્યોને પણ સુરક્ષિત રાખવાનો જાહેર અનુરોધ કર્યો હતો.

જિલ્લા પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદરે બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, રાજપીપલા ખાતે RTPCR ટેસ્ટની સુવિધા માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થયેલ છે અને તે અંગેની તાલીમ પણ અપાઇ છે. આગામી ત્રણ-ચાર દિવસમાં RTPCR ટેસ્ટની લેબ કાર્યરત થઇ જશે. રેમડેસિવિર ઇજેક્શનનો પૂરતો જથ્થો જિલ્લાને ઉપલબ્ધ થયેલ છે. આ ઇંજેક્શન મેડીકલી ઉચીત અને વાજબી જણાય તેવા દરદીઓના કિસ્સાઓમાં જ ઉપયોગ થાય તે જોવાની પણ તેમણે ભારપૂર્વક હિમાયત કરી હતી. જિલ્લાના પાંચ વેન્ટીલેટર છોટાઉદેપુર ખાતેથી પરત મળેલ છે. નર્મદા જિલ્લાના આયુષ ડૉક્ટર, સ્ટાફ નર્સ સહિતનો વડોદરા ખાતે ડેપ્યુટેશનમાં મુકાયેલો મેડીકલ સ્ટાફ પણ જિલ્લાને પરત મળી ગયેલ છે અને જિલ્લામાં તેમની સેવાઓ લેવાઇ રહી છે.

બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે જિલ્લા પ્રશાસન-આરોગ્યતંત્ર દ્વારા કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ અને આગામી દિવસોમાં હાથ ધરાયેલી કાર્ય યોજનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઓક્સીજનના પ્લાન્ટની સ્થાપનાની દિશામાં પણ સઘન વિચારણા હાથ ધરાઇ છે. રાજપીપલાના સ્મશાનગુહમાં ઇલેક્ટ્રી ભઠ્ઠીની સુવિધા, જિલ્લાના દરેક ગામમાં પલ્સ ઓક્સીમીટરની સુવિધા ઉપલબ્ધ કરવાં,દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સીજનની સુવિધા ઉપલબ્ધ કરવાં, ૧૦૮ એમ્બુલન્સ આરોગ્ય સેવકોને જિલ્લાની અને નજીકની કોવિડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓથી વાકેફ કરવાં, આરોગ્ય ટુકડીઓની સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવી, જરૂરી વિટામીનની ગોળીઓ દવાના ફિક્સ પેકેટ વિતરણ કરવાં, જરૂર પડે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોવિડ કેર સેન્ટરમાં સંબંધિત દરદીને તુરંત જ સારવાર મળી રહે તે અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી. અને તેના અમલીકરણ માટે જિલ્લા આરોગ્યતંત્રને આ બેઠકમાં સુચના અપાઇ હતી.

સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાએ બેઠકમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના ઓક્સિજનના ૭૦ જુના મોટા સિલીન્ડર ઉપરાંત ૫૫ નવાં ઓક્સિજન સિલીન્ડરની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જ્યારે નવા ૧૨૦ સિલીન્ડરનો ઓર્ડર અપાયેલ છે.

એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, કોવિડ કેર સેન્ટરોમાં ૪૦૦ બેડની વ્યવસ્થા હતી તેને ૧ હજાર બેડ સુધી લઇ જવામાં આવશે તેમજ સરકારી અને ખાનગીમાં જ્યાં ૧૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં ૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેની સાથોસાથ દરેક તાલુકાકક્ષાએ ઓક્સીજનની સુવિધાવાળા ૨૦ બેડની સુવિધા ટુંક સમયમાં ઉપલબ્ધ કરાશે જિલ્લામાં ૨૫ જેટલાં ધન્વંતરી રથ ઉપરાંત , PHC-CHC-SDH સહિત જિલ્લાના કુલ-૩૪ જેટલા કેન્દ્ર ખાતે એન્ટીજન, RTPCR ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે તે સિવાય ૧૨ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતે એન્ટીજન, RTPCT ની સાથે વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આશા, આરોગ્ય વર્કરોની ટીમો બનાવીને તે ગ્રામ્ય-શહેરી વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે કરશે અને વધુ લક્ષણો જણાશે તો તેવા દરદીઓને PHC અથવા CHC ખાતે સારવાર પુરી પાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here