સારવાર હેઠળના સાજા થયેલા ૧ દર્દીને આજે રજા અપાઇ : આજની સ્થિતિએ સુરતમાં ૧ અને વડોદરામાં રિફરમાં રહેલાં ૩ દર્દીઓની બાદ કરાતાં રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ ૨૮ દરદીઓ સારવાર હેઠળ
ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા ૭૨ સેમ્પલ પૈકી આજે ૩ સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવ્યા : આજે ચકાસણી માટે કુલ ૪૨ સેમ્પલ મોકલાયા
કોરોનાના કોઇપણ જાતના લક્ષણો ન હોવા છતાં એન્ટીજન (રેપીડ) ટેસ્ટમાં પોઝિટીવ જણાયેલાં ૧૭ દરદીઓને રાજપીપલાના કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રખાયા
કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ રખાયેલ એન્ટીજન (રેપીડ) ટેસ્ટ વાળા દરદીઓમાં જો કોરોનાના લક્ષણો નહી જણાય તો સાત દિવસમાં રજા અપાશે અને જો લક્ષણો જણાશે તો કોવીડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડાશે
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૪૮,૪૦૭ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૧૨ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓની અપાયેલી સારવાર
રાજપીપલા(નર્મદા)
આશિક પઠાણ
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૧૯ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૩ પોઝિટિવ કેસો નોંધાતા આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ દરદીઓની કુલ સંખ્યા-૧૩૩ થઇ છે. તેમજ રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૧ દરદી સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના સાજા થયેલા કુલ-૧૦૩ દર્દીઓને રજા અપાતાં તેમજ આજની સ્થિતિએ સુરતમાં ૧ અને વડોદરામાં રિફરમાં રહેલાં ૩ દર્દીઓને બાદ કરાતાં રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ-૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ ૭૨ સેમ્પલ પૈકી આજે ૩ સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવ્યાં છે. જેમાં રાજપીપળા શહેરના જીતનગર પોલીસ લાઇના રહીશ દરદી, બાલમંદિર ફળીયું કાછીયાવાડના રહીશ દરદી તેમજ નાંદોદ તાલુકાના આમલેથા ગામના રહીશ દરદીનો સમાવેશ થાય છે. તદઉપરાંત આજે ચકાસણી માટે કુલ ૪૨ સેમ્પલ મોકલવામાં આવ્યાં છે.
વધુમાં પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ કોરોનાના કોઇપણ જાતના લક્ષણો હાલમાં ધરાવતા ન હોવા છતાં એન્ટીજન (રેપીડ) ટેસ્ટમાં આજે પોઝિટીવ જણાયેલાં ૧૭ દર્દીઓને રાજપીપળાની આયુર્વેદ કોલેજ સંકુલમાં કાર્યરત કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાં રાજપીપળા શહેરના ૧૪ દર્દીઓ, નાંદોદ તાલુકાના ભચરવાડા ગામના એક દર્દી અને તિલકવાડા તાલુકાનાં વાઘેલી ગામના ૨ (બે) દર્દીઓનો સમાવેશ થાય છે. ડૉ.કશ્યપના જણાવ્યા મુજબ આવા દર્દીઓને કોઇ લક્ષણો નહી જણાય તો સાત દિવસમાં રજા આપવામાં આવશે અને જો લક્ષણો જણાશે તો તેવા દર્દીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧૯ મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ- ૪૮,૪૦૭ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૧ દર્દીઓ, તાવના ૩૮ દર્દીઓ, ડાયેરીયાના ૨૩ દર્દીઓ સહિત કુલ-૧૧૨ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૫૦,૦૭૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૯૫,૦૯૬ લોકોને વિતરણ કરાઇ છે.