ગાંધીનગર,(ઈશહાક રાંટા :-
શપથ ગ્રહણ સમારોહ તા.૧૩, સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ બપોરે ૨:૨૦ કલાકે રાજભવન ખાતે યોજાશે
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે ભારતીય જનતા પાર્ટીના વિધાયક દળના નવનિયુક્ત નેતા અને ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મળીને રાજ્યમાં તેમનાં નેતૃત્વની નવી સરકારની રચના માટેનો પ્રસ્તાવ રજૂ કરતો પત્ર સુપ્રત કર્યો હતો. રાજયપાલશ્રીએ તેમના પ્રસ્તાવનો સ્વીકાર કરીને તેમને આવતી કાલે એટલે કે તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૧ને સોમવારના રોજ બપોરના ૨.૨૦ કલાકે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાશે.
આ પ્રસંગે કાર્યકારી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો શ્રી ભૂપેન્દ્ર યાદવ, શ્રી નરેન્દ્રસિંહ તોમર, શ્રી પ્રહલાદ જોષી, શ્રી બી.એલ.સંતોષજી, કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી પુરષોત્તમ રૂપાલા, શ્રી મનસુખ માંડવિયા, શ્રી દર્શનાબેન જરદોશ, શ્રી દેવુસિંહ ચૌહાણ, રાજ્યમંત્રી મંડળના સદસ્યો, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.