છોટાઉદેપુર, સકીલ બલોચ :-
પંચમહાલ જિલ્લાના વિંઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારોહ પૂ.મોરારીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો
મહાનુભાવોના હસ્તે ૪૪ ગોલ્ડ મેડલ અને ૪૦૭૬ વિદ્યાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર કરાયા એનાયત
વિશ્વ વંદનીય પરમ પૂજ્યસંતશ્રી મોરારી બાપુની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોર, રાજય મંત્રીશ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતીમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ચોથો પદવીદાન તથા સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી મોરારી બાપુએ, તેજ અને ત્યાગની પંચમહાલની તપોભૂમિને પ્રણામ કરી, તૈતરી ઉપનિષદ, ભગવદ્ ગીતા, વૈદિક પરંપરાનુ વર્ણન કરી, રામાયણ કાળના વસિષ્ઠ ગુરૂકૂળ, જ્યાં રામ-લક્ષ્મણ ભણતા હતા તેનું મહત્વ વિદ્યાર્થી યુવામિત્રોને સમજાવ્યુ હતું.
તેમણે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ગુણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ભૂમિ ફળદ્રુપ છે. અહીં વાડ, જમીન, ખાતર, બિયારણ, સિંચાઈ બધું બરાબર છે, પણ આ વિદ્યાર્થીરૂપી ફસલને કોઈ બહારના તીડ આવીને નષ્ટ ન કરે એ પણ એટલું જ જરૂરી છે.
વિવિધ મહાનુભવોના હસ્તે આ દિક્ષાંત સમારોહમાં ૪૪ વિદ્યાર્થીઓ –વિદ્યાર્થીઓની સુવર્ણચંદ્રક અને ૪૦૭૬ને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વિનયન, શિક્ષણ, વિજ્ઞાન, કાયદા, તબીબી, વાણિજ્ય, આર્કિટેક્ચર એમ વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો હતો.
સ્વાગત પ્રવચનમાં શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારે ૯૧ કોલેજ અને ૬૭૦૦૦ વિદ્યાર્થીઓ હતા. આજે ૨૭૦ કોલેજો અને મહીસાગર, બરોડા ગ્રામ્ય, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરના પાંચ જિલ્લાની દોઢ લાખથી વધુ વિદ્યાર્થીઓ અહીં વિવિધ વિદ્યાશાખાનું શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાં પદવીદાન તથા સુવર્ણચંદ્રક કાર્યક્રમમાં સેઠ ટી. સી. કાપડિયા કૉલેજમાં અભ્યાસ કરતી છોટાઉદેપુરની દરજી કૃપાબેન નિતિન કુમારને એમ.કોમમાં સર્વોચ્ય ગુણ મેળવવાથી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.