ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-
કોવીડ ૧૯ ની મહામારીથી બચવા રસીકરણ એ એક માત્ર ઉપાય હોવાનું મેડીકલ રીસર્ચ સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. ત્યારે દેશમાં અને રાજ્યમાં હાલ દરેક તાલુકાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને લોકોને રસી મુકાવવા કહેવામાં આવી રહ્યું છે. ઘોઘંબા તાલુકાના સીમલીયા ગામે પણ રસીકરણ કેન્દ્ર ચાલે છે અને લોકોને રસી મુકાવવાનુ ચાલું છે.
પરંતુ લોકોમાં રસીકરણ પ્રત્યે ઉદાસિનતા જોવા મળી રહી છે. જોઇએ એ મુજબની સંખ્યામાં રસીકરણ થતુ નથી તેનું કારણ લોકોમાં જાગૃતિનો અભાવ હોય શકે અથવા ગેરસમજ હોઇ શકે.
ત્યારે રસીકરણ માટે લોકોને જાગૃત કરવા, સમજાવવા તેઓની ગેરસમજ દુર કરવા ખૂબ જરૂરી છે. એ માટે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું છે કે, જો સરકાર દ્વારા જણાવવામાં આવશે તો, આમ આદમી પાર્ટીના કાર્યકરો રસીકરણ જાગૃતિ માટે કામ કરવા તૈયાર છે. અને લોકોની વચ્ચે જઈ તેઓને સમજાવવા એક અભિયાન ચલાવી આરોગ્ય લક્ષી સેવા કરવા તૈયાર છીએ. તે બાબતે પણ આવેદનપત્રમાં જણાવાયું છે.
તેના ભાગરૂપે આજ રોજ ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આજે સીમલીયા અને આજુબાજુના ગામોમાં જઈ લોક સંપર્ક કરી, લોકોને સમજાવવા એક અભિયાન હાથ ધર્યું. અને આજુબાજુના ગામોના લોકોને સીમલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી રસી મુકાવડાવી.
આ લોક જાગૃતિ અભિયાન અને આરોગ્ય લક્ષી સેવા કાર્યમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી શ્રી પ્રવિણભાઈ વરીયા તથા ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી શ્રી અરવિંદભાઇ બારીઆ તથા બીજા કાર્યકરો જોડાયા હતા.