ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-
સામાન્ય લોકોના જીવનને અસર કરતી આરોગ્ય સેવાઓ પ્રત્યે સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તાત્કાલિક ઉપાયો કરવા જોઈએ: જિલ્લા પ્રમુખ
ગોધરા શહેરમાં અને ખાસ કરીને પશ્ચિમ (લઘુમતિ) વિસ્તારમાં રોગચાળો ફેલાયો હોવાનું જાણવા મળે છે. આ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પાણીનો યોગ્ય નિકાલ ના થવાથી લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે છે તેથી ગંદું પાણી અને ગંદકી વધી રહી છે. તેમાં ઝેરી મચ્છર અને જીવ જંતુઓ વધી રહ્યા છે અને તેના કારણે રોગચાળો ફેલાયો છે.
આ બાબતની રજૂઆત સ્થાનિકો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને કરવામાં આવતા આજ રોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માન. જિલ્લા કલેકટર સાહેબશ્રીને તથા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને લેખીત રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે, ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલા રોગાચાળાને દુર કરવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે, દવા છંટકાવ, આરોગ્ય કેમ્પ કરવામાં આવે તથા જરૂરી દવાઓ અને ઈન્જેકશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે.
આ બાબતે જિલ્લા પ્રમુખ દિનેશભાઈ બારીઆએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોના આરોગ્યની સીધી અસર તેમના આર્થિક, સામાજીક અને પારીવારીક જીવનમાં પડતી હોય છે. ઘરમાં બાળકો, મહિલાઓ, વૃધ્ધો બિમારીનો ભોગ બને ત્યારે આખું પરીવાર દુઃખી થતું હોય છે અને મનથી તુટી જતું હોય છે તેથી સરકારે આરોગ્ય લક્ષી સેવાઓ પ્રત્યે ખુબ ધ્યાન આપવું જોઈએ અને સેવાઓ વધારવી જોઈએ. વધારે લોકો બિમારીનો ભોગ ના બને તેથી સજાગ રહેવું જોઈએ અને રોગચાળાને અટકાવવા માટે તાત્કાલિક ધોરણે ઉપાય કરવો જોઈએ એમ કહ્યું હતું.
જિલ્લા મહામંત્રી આશીફભાઇ બક્કરે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાણી જન્ય રોગ તાવ, મેલેરિયા, ટાઇફોઇડ, ચિકનપોક્સ, કૉલેરા જેવા રોગો વધી રહ્યા હોવાનું જાણવા મળે છે તેથી વિના વિલંબે ઉપાય કરવો જોઈએ.
ગુજરાત પ્રદેશ લઘુમતિ સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેબુબભાઇ બક્કરે જણાવ્યું હતું કે, આજ રોજ જે રજુઆત કરવામાં આવી છે તે બાબતે જિલ્લા કલેકટર સાહેબશ્રીએ અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ રજુઆતને સારી રીતે સાંભળી છે અને જરૂરી પગલાં ભરવાની બાંહેધરી આપી છે.
જિલ્લા મહામંત્રી, માઇનોરીટી પ્રદેશ ઉપાધ્યક્ષ, જિલ્લા માયનોરીટી પ્રમુખ અમીન ગુરજી, ઉસ્માનભાઈ દુલ્લી, કિરીટભાઇ પરમાર સહિતના કાર્યકરોએ રજૂઆત કરી હતી.