કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ તાલુકાના મલાવ ગામના ખડકી ફળિયાના બાવન વર્ષિય માજી સરપંચ નામે રસિકભાઈ મનુભાઈ પટેલનો ગત ૦૩/૦૬ના રોજ રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેમને કોરોના સારવાર અર્થે વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યે ચૌદ દિવસની કોરોના સારવાર પિરીયડ પુર્ણ થવાના એક દિવસ પહેલા જ તેમનું કરુણ મોત નીપજતા કાલોલમાં કોરોનાનો પહેલો ભોગ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમણનો ભોગ બનેલા માજી સરપંચની પત્નીનો પણ કોરોના રીપોર્ટ ગત અઠવાડિયે પોઝીટીવ આવ્યો હતો જેઓ હાલ કોરોના હોસ્પિટલ-ગોધરા ખાતે સારવાર લઈ રહ્યા છે, તદ્ઉપરાંત તાજેતરમાં રવિવારે સાંજે માજી સરપંચના ડ્રાઈવરનો પણ રિપોર્ટ પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવ્યુ હતું. આમ નાનકડા મલાવ ગામમાં સંક્રમણને પગલે ત્રણ પોઝીટીવ કેસો સાથે કાલોલ તાલુકા વિસ્તારમાં ૧૪ જેટલા પોઝીટીવ કેસો મધ્યે મલાવમાં પ્રથમ સંક્રમિત બનેલા માજી સરપંચના મોતને પગલે તંત્ર અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જે અંતર્ગત કોરોના વાયરસની અસરને કારણે આરોગ્ય વિભાગ દ્વારા મૃતકના મૃતદેહને તંત્રની વિધિ મુજબ નિકાલ કરવાની કામગીરી હાથ ધરી હતી.