કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-
અધ્યયન અને અધ્યાપન પરસ્પર જોડાયેલી પ્રક્રિયા છે. શિક્ષક શીખવે છે અને વિદ્યાર્થીઓ શીખે છે. અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયાનાં શાસ્ત્રીય અભ્યાસને પેડાગોજી કે અધ્યાપનશાસ્ત્ર કહે છે. જેનાં ભાગરૂપે શિક્ષક પર્વની ઉજવણી અન્વયે ઇનોવેટિવ પેડાગોજી પાઠ નિદર્શન, અધ્યયન નિષ્પતિ આધારિત પ્રશ્નબેંકની રચના તથા ઇનોવેટિવ પાઠ આધારિત વીડિયોને અપલોડ કરવા સંદર્ભે સી.આર.સી. બાકરોલ માં એક દિવસીય તાલીમ વર્ગનું પલાસા પ્રાથમિક શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.
સદર તાલીમ વર્ગમાં બાકરોલ જૂથના પ્રતિભાશાળી શિક્ષકોએ સહર્ષ ભાગ લીધો હતો. તાલીમ વર્ગમાં ઉત્તર બીટના કેળવણી નિરીક્ષક ગૌરાંગ જોશી દ્વારા પેડાગોજીની સંકલ્પના સ્પષ્ટ કરવામાં આવી હતી. જેની વિશેષ સમજ માટે વિવિધ વિષયોનાં એકમો પર ખૂબ જ સુંદર રીતે પાઠ નિદર્શન કરવામાં આવ્યું હતું.પૂર્વ બીટના કેળવણી નિરીક્ષક ભાવેશભાઈ પટેલએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને સુંદર અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાકરોલ જૂથના કૉ.ઓર્ડીનેટર ચંદ્રકાંતભાઈ સુથાર એ પોતાનાં પ્રાસંગિક ઉદ્બોધનમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.