કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા
કાલોલ નગરમાં જીગર બેટરી વાળા ની દુકાનની ઉપર મોહંમદી મસ્જિદની પાસે આવેલ હુસેનભાઇ ઈબ્રાહીમ બોબડિયાની દુકાન ભાડે લઈને એપ્રિલ ૨૦૧૯ ના અરસામાં અમીના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્પેશિયાલિસ્ટ ઈન ઉમરાહ જિયારત એવું બોર્ડ મારીને માંકણ ગામ તાલુકા કરજણના હાજી મુબારક દાઉદ પટેલ (પાયા) મુખ્ય વહીવટકર્તા તથા કેટલાક બીજા શખ્સો મુંતજિર મુબારક પટેલ (પાયા), યાકુબ મહંમદ ટીંબા વાલા મેનેજર ત્રણેવ રે. માકણ, તથા સઈદભાઈ એકાઉન્ટન્ટ રહે, સુરતએ ઉમરાહ (હજયાત્રા) કરાવવા માટે જાહેરાત કરી ઓફિસ શરૂ કરી હતી. આ શખ્સો મારફતે અગાઉ ૧૦૦ જેટલા માણસોને ઇસ્લામ ધર્મના પવિત્ર સ્થળ એવા મક્કા મદીના ઉમરાહ કરવા માટે ચારથી પાંચ વખત લઈ જવામાં આવેલા હોય કાલોલના લોકોને તેઓના પર વિશ્વાસ બેસી ગયો હતો. જેથી પ્રવાસ માટે જવા માટેની ફી, ખર્ચ, પાસપોર્ટ તથા જરૂરી દસ્તાવેજો આ લોકોની મુંબઈ ખાતેની હેડ ઓફિસમાં મોકલી આપવા માટે કાલોલના કાલુસા ગફારસા દીવાને તેઓના કુટુંબીજનોને તથા તેઓ સિવાય અન્ય ૨૫ જણાએ જુદી જુદી તારીખમાં એપ્રિલ ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૧૯ દરમિયાન રોકડા નાણાં તથા પાસપોર્ટ જમા કરાવ્યા હતા. એટલે કે કાલુસા દીવાને પોતાના પાંચ કુટુંબીઓના ત્રણ લાખ બાર હજાર રૂપિયા તથા અન્ય ૨૫ જણાએ રૂ.૧૮,૩૫,૦૦૦/-કુલ મળીને રૂ. ૨૧,૪૭,૦૦૦/- જેવી રકમ આ લોકોએ ઉઘરાવી લીધેલી આ ઉપરાંત ૨૫ જેટલા લોકોના અસલ પાસપોર્ટ પણ આ લોકોએ મેળવી લીધેલા રકમ જમા કરાવ્યા બદલની પાવતીઓમાં મુબારક દાઉદ પટેલ તથા યાકુબ મહંમદ ટીંબાવાલા પોતાની સહીઓ કરીને આપતા હતા. ટુરની ટીકીટ બે માસમા આવી જશે તેવો વિશ્વાસ આપતા હતા. ટુરની નક્કી કરેલી તારીખ અગાઉ કાલુસા દીવાનને આ ટુર આયોજકોએ ટુર માટેની એક બોગસ ટિકિટ પણ મોકલી આપી હતી જે તારીખ મુજબ ટુરમાં જવા કાલુસા દિવાન તમામ લોકો સાથે સામાન લઈને તૈયાર પણ થયેલા હતા ત્યાર બાદ ફરી એક નવી તારીખ આપી તે દિવસે ટુરમાં જવા તૈયાર રહેવા જણાવ્યું પરંતુ ટુર માટેની કોઈ બસ આવેલી નહોતી. ઉપરાંત કાલોલ ખાતેની ઓફિસ પણ આ લોકોએ બંધ કરી દીધી હતી અને હાલોલમા પણ કેટલાક ઇસમો સાથે ટુરના નામે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આમ કાલોલના લોકોને લાગ્યું કે આપણી સાથે છેતરપિંડી થઈ છે જેથી આ ઈસમો પાસે નાણા પરત માંગતા જાત જાતની ધમકીઓ આપતા હતા. ગંદી ગાળો બોલતા હતા અને જ્યાં જવું હોય ત્યાં જાવ તેવું કહેતા હતા. આમ કાલોલના ૩૦ જેટલા લોકો સાથે ટુરમાં મોકલવાની વાતો કરી વિશ્વાસ સંપાદન કરી એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરૂ કરી નાણાં ચાઉં કરી છેતરપિંડી કરી હોય કાલોલ પોલીસ સ્ટેશનમાં કાલુશા ગફારસા દીવાને ચાર ઈસમો સામે ભોગ બનેલા ૩૦ લોકોના નામ પાસપોર્ટની વિગતો સાથે ફરિયાદ નોંધાવી છે. જેને પગલે કાલોલ પોલીસે તપાસનો દોર કરજણ સુધી લંબાવી આરોપીઓની ધરપકડ કરવાની હિલચાલ શરૂ કરી છે.