સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
સિદ્ધપુર નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાન કામગીરી ઉપરાંત તે અંતર્ગત વ્હિકલ ખરીદી તેમજ સિવિલ વર્ક માટે ફાળવવામાં આવેલી રૂપિયા બે કરોડની ગ્રાન્ટ સમય મર્યાદામાં પાલિકાતંત્ર દ્વારા આયોજન કરી ખર્ચ ના કરી શકતા રાજ્ય સરકારમાં પરત જમા થઈ જવા પામી છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકબાજુ સ્વચ્છતા જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે સિદ્ધપુર નગર પાલિકાની જે-તે સમયની વહીવટી બોડીની ઈચ્છા શક્તિ અભાવે આ ગ્રાન્ટ સરકાર માં પરત જમા થઈ હોય તેવું સ્પષ્ટપણે પ્રતિત થઈ રહ્યું છે.ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ મિશન અભિયાન અંતર્ગત સિદ્ધપુર નગરપાલિકાને વર્ષ 2016-17 માં રૂપિયા બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા કચરો લઈ જવા માટે વ્હિકલ ખરીદી તેમજ મુડાણા ખાતે સર્વે નં.૯૫૫ વાળી જમીન માં સિવિલવર્ક અંતર્ગત કમ્પાઉન્ડ વોલ,ચોકીદાર ની રૂમ,વજનકાંટો વિગેરેની સગવડ કરવા માટે આ ગ્રાન્ટ નો ઉપયોગ પાંચ વર્ષ જેટલા લાંબા સમયમાં કરવાનો હતો.આમ છતાંય પાલિકાના નિયત આયોજન ના અભાવે આ ગ્રાન્ટ સરકાર માં પરત જમા થઈ જવા પામી છે. આ અંગે ચીફ ઓફિસર એસ.એચ.પટેલે જણાવ્યું કે આ ગ્રાન્ટ તેના હેતુ માટે નિયત સમયમર્યાદામાં વપરાઈ ના હોવાથી સરકાર માં પરત જમા થઈ છે.પરંતુ તે જ હેતુ માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા જરૂરી વહીવટી કામગીરી હાથ ધરી તેમજ તે અંગે સરકાર ને બાંયધરી આપી આ ગ્રાન્ટની રકમ પરત મેળવવા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે.