રાજકોટ,
વિનુભાઈ ખેરાળીયા
રાજ્યમાં કોરોનાની મહામારી અને લોકડાઉનના કારણે મોટા ભાગના ધંધા ઉદ્યોગો બંધ હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. ત્યારે લોકોને ખાવા માટે પણ ફાંફા હતા. આવા કપરા સમયને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન પર બીપીએલ અને એ.પી.એલ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ તેનો ગેરલાભ સસ્તા અનાજની દુકાનદારો ઉઠાવી રહ્યા હોવાની બુમો ઉઠવા પામી હતી તેમજ અનાજ માફિયાઓ ગરીબોના હક્કનું અનાજ બારોબાર વેચીને કાળીબજાર કરતા હોવાની વાતો સામે આવી હતી. તેવામાં આજે રાજકોટ શહેરના બજરંગવાડીમાં સસ્તા અનાજના દુકાનદારનું કૌભાંડ ઝડપાયું છે. દુકાનદારે ૧ હજારથી વધુ કાર્ડધારકોના માલને બારોબાર વેચી નાખ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી જેથી રાજકોટના જામનગર રોડ પર બજરંગવાડી-૨ માં આવેલી બી.ડી.જોશીની સસ્તા અનાજની દુકાનમાં પુરવઠા વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરતા છેલ્લા બે મહિનામાં ૧૦૦૨ કાર્ડધારકોને રેશનિંગનો જથ્થો આપ્યો ન હોવા છતાં બિલ બનાવી નાખી ચોપડે ચડાવ્યાની હકીકત બહાર આવતા અને ઓનલાઇન સ્ટોકપત્રક તથા હાજર જથ્થામાં તફાવત મળી આવતા રૂ.૬૮ હજારનો માલ સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ D.S.O. એ તાત્કાલિક અસરથી બી.ડી.જોશી સસ્તા અનાજની દુકાનનું લાઈસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કર્યું હતું.