પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના વેજલપુર ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર

કાલોલ,(પંચમહાલ)
ઇમરાન ખાન

કાલોલ તાલુકાના 11 ગામના 201 જોડાણોને યોજના હેઠળ આવરી લેવાયા

જિલ્લાના કુલ 118 ગામોને કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત પિયત માટે દિવસે વિજળી મળશે

સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પિયત માટે દિવસે વીજપુરવઠો પૂરો પાડવા હાથ ધરાયેલી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કા અંતર્ગત પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં વેજલપુર ખાતે કૃષિ, પંચાયત અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં શુભારંભ સમારોહ યોજાયો હતો. કાલોલ તાલુકાના 11 ગામના ખેડૂતોના 201 ખેતી વિષયક વીજ જોડાણોને દિવસે વીજ પુરવઠો પૂરો પાડવાની આ યોજનાનો શુભારંભ કરાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પિયત માટે દિવસે વિજળી આપવાનો આ નિર્ણય ઉર્જાક્ષેત્રે જ્યોતિગ્રામ યોજના બાદ બીજો ઐતિહાસિક નિર્ણય બની રહેશે. ઉર્જાક્ષેત્રે રાજ્યે સાધેલી પ્રગતિની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રજાજનોને 24 કલાક વિજળીની સવલત આપવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ રહ્યું છે. ગ્રામજનોને અનિયમિત વિજળીના પરિણામે પડતી મુશ્કેલીઓ સમજી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2001માં શહેરી વિસ્તારની જેમ ગામડાઓમાં પણ ૨૪ કલાક વીજળી આપવાનો નિર્ધાર કર્યો અને ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ્યોતિગ્રામ યોજના હેઠળ દેશમાં સૌપ્રથમ ગુજરાતના તમામ ગામોમાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. આ ક્રાંતિને આગળ વધારતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કિસાનભાઈઓને પિયત માટે દિવસે વિજળી પૂરી પાડવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે, જેના પરિણામે હવે ખેડૂતમિત્રોએ રાત્રીના ઉજાગરા નહીં કરવા પડે, જંગલી પશુઓ કે જીવજંતુઓનો ડર નહીં રહે તેમજ તેમની ઉત્પાદકતા વધશે. ખેડૂતહિતમાં સરકાર દ્વારા કિસાન સન્માન નિધી યોજના અંતર્ગત વાર્ષિક 6 હજારની સીધી સહાય, ઝીરો પ્રિમિયમ પર પાક વીમો ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સાત પગલા ખેડૂત કલ્યાણના સહિતની યોજનાઓ અંગે વાત કરતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી, સમયસર વીજ પુરવઠો અને ખાતર મળી રહે તેવી વ્યવસ્થા સરકારે સુનિશ્ચિત કરી છે. કિસાન સૂર્યોદય યોજના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં અતિ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે બે વર્ષમાં સમગ્ર રાજ્યના 18 હજારથી વધુ ગામોને 3500 કરોડથી વધુના ખર્ચે દિવસે 8 કલાક થ્રી ફેઝ વિજળી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઉર્જાક્ષેત્રે વિકાસની આ યાત્રા સરળ નથી રહી. સરકારે એક સમયે ખોટ કરતા ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ (GEB)ને ખોટનાં ખાડામાંથી બહાર લાવી ગુજરાતને વીજ ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે.
આ અગાઉ કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. એમજીવીસીએલ, વડોદરાના અધિક્ષક ઈજનેરશ્રી દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત તેમજ કાર્યપાલક ઈજનેરશ્રી, હાલોલ દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીશ્રી અશ્વિનભાઈ પટેલ, કાલોલ નગરપાલિકા પ્રમુખસુશ્રી શેફાલીબેન, માજી સાંસદશ્રી પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, બેઢિયાના સરપંચશ્રી તેમજ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત એમજીવીસીએલના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાલના તબક્કે જિલ્લાના 7 તાલુકાના 613 ગામો પૈકી કુલ 118 અને કાલોલ તાલુકાના 67 ગામો પૈકી 11 ગામોના ખેડૂતોને પિયત માટે દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. કાલોલ તાલુકામાં 66 કે.વી. ભાદ્રોલીના નારણપુરા ફીડર હેઠળ આવતા 10 ગામો તેમજ ખરસાલિયા ફીડર હેઠળ આવતા 1 ગામને આવરી લેવાયા છે. અન્ય તાલુકાઓની વિગત જોઈએ તો ગોધરા તાલુકામાં 41 ગામ, મોરવા હડફ તાલુકાના 18 ગામ, શહેરા તાલુકાના 12 ગામ, ઘોઘંબા તાલુકાના 11 ગામ, હાલોલ તાલુકાના 13 ગામ, જાંબુઘોડા તાલુકાના 12 ગામ મળીને કુલ 118 ગામને કિસાન સર્વોદય યોજના અંતર્ગત હાલના તબક્કે આવરી લેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here