પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતએ ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતીનો સફળ પ્રયોગ કર્યો

ઘોઘંબા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

આત્મા કચેરીનું માર્ગદર્શન મેળવી પ્રાકૃતિક ખેતી કરી સફળતા મેળવી

રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધતા વપરાશના સમયમાં ઘોઘમ્બા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સફળ પ્રાકૃતિક ખેતી કરી, નફો રળી સ્થાનિક ખેડુતોને એક નવો રાહ ચીંધ્યો છે. ગજાપુર ગામના સોલંકી મહેન્દ્રસિંહ મહોબતસિંહ ખેતી સાથે છેલ્લા ૨૦ વરસોથી સંકળાયેલ છે. યુવાન અને અતિ ઉત્સાહી એવા આ ખેડુતે ખેતીમાં કઇક નવુ કરીને અલગ કરવાની હોંશ હતી. આજ કારણે નવુ-નવુ જાણવા માટે સોશિયલ મીડિયામાંથી શીખવા સાથે ખેતીવાડી શાખા તેમજ આત્મા પ્રોજેક્ટનો સંર્પક કર્યો એમાં તેમણે જાણ્યું કે આત્મા પ્રોજેક્ટ દ્વારા પણ ખેડુતલક્ષી વિવિધ તાલિમો, શિબિરો અને આધુનીક ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. એમણે ખેડુત તાલીમ કેન્દ્ર, ગોધરા ખાતે આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કરીને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટની ખેતી અંગેની માહિતિ મેળવી. આત્મા દ્વાર યોજાયેલ સુભાષ પાલેકર નિવાસી તાલીમમાં ભાગ લઇને સાત દિવસ સુધી તાલીમ મેળવીને જિવામૃત, બીજામૃત, ઘન જિવામૃત, બ્રમ્હાસ્ત્ર, વગેરેની જાણકારી મેળવી. ત્યાં જાણ્યુ કે એક દેશી ગાય દ્વારા આશરે ૩૦ એકરમાં રાસાયણીક ખાતર કે દવાના ઉપયોગ વગર ખેતી કરી શકાય છે અને આજ વાતની મનમાં ગાંઠ વાળીને દેશી ગાય આધારીત ખેતી કરવાનું શરૂ કર્યુ. એ જ અઠવાડીયામાં એમણે દેશી ગાયની ખરીદી કરી. એમાથી પ્રેરણા લઇને એજ વર્ષે એમણે ટામેટાને બિજામૃતનો પટ આપીને જાતે ધરુ બનાવીને વાવેતર કર્યુ. જીવામૃતનો છાંટકાવ કરીને સારૂ એવુ ઉત્પાદન મેળવ્યુ. બીજામૃત વાપરીને ફુગ જન્ય રોગો, અને ઉધઇ અને અન્ય મુળજ્ન્ય રોગોમાંથી છુટકારો મળ્યો. જિવામૃતથી ઉત્પાદન અને ગુણવત્તા વધી અને ટામેટાનો બગાડ ઓછો થયો. કિટનાશક માટે બ્રમાસ્ત્ર અને અગ્નીસ્ત્રનો ઉપયોગ સફળ રહ્યો. એમના જણાવ્યા મુજબ રાસયણીક ખાતરો અને બજારૂ દવાનો ઉપયોગ કર્યા વગર પણ પ્રાકૃતિક ખેતી કરીને પણ સારો નફો મળે છે. આત્મા પ્રોજેક્ટ દ્રારાસરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ લઇને ગાય નિભાવ ખર્ચ મેળવીને પ્રાકૃતિક ખેતીને સફળ બનાવી. તેઓ જણાવે છે કે એમને સરકારશ્રી તરફથી વર્ષે ૧૦,૮૦૦/- જેટલી નિભાવ રકમ તેમજ જિવામૃત અને અન્ય બનાવટો માટે કિટ પણ મળી છે. આ ઉપરાંત એમણે મિક્ષ ક્રોપિંગ પધ્ધતીથી કેળાની ખેતીમાં હજારી ગલગોટાનું વાવેતર કરી દીવાળીના સમયે પચાસ હજાર રુપીયાના ફુલોનું વેચાણ કર્યુ અને ટામેટાની ખેતીથી એકરે એક લાખ ઉપરાંતની આવક થઇ. આજે એમણે મકાઇનુ પણ વાવેતર પણ બિજામૃત, જિવામૃત વગેરે થી ખેતી કરી. પાકમા આવતી FAW એટલે કે પુછડે ચાર ટપકા વાળી જિવાતનું પણ દશ્પર્ણી અર્ક બનાવીને નિયંત્રણ કર્યુ. તેમના સફળ પ્રયોગોએ સાબિત કર્યું કે પાકમાં બિજામૃત, જિવામૃત અને દશ્પર્ણી અર્ક જેવા પ્રાકૃતીક સંશાધનો વાપરવાથી એની ગંધના લીધે ભુંડ કે રોઝ જેવા જંગલી જાનવરો પાકને નુકશાન કરતા નથી. એટલે એક સામાન્ય પધ્ધતીથી ફેન્સિંગ કે અન્ય મોંઘી દવાનો ખર્ચ બચી જાય છે. મહેન્દ્રસિંહ એ સિધ્ધ કર્યુ છે કે ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડુત સમૃદ્ધ તો થશે જ પણ એના થકી એમની જમીન પણ ફળદ્રુપ બનશે. ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી મોટા પાયે કરીને ખર્ચ બચાવીને નફો રળી શકે એ માટે આ ખેતી પદ્ધતિ અપનાવવા તેઓ સાથી ખેડૂતોને અનુરોધ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here